મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર, બોડિદ્રાબુઝર્ગના ૯ મા પ્રતિષ્ઠોત્સવની ઉલ્લાસભેર ઉજવણી કરાઈ …

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

ગોધરા તાલુકાના બોડિદ્રાબુઝર્ગ ગામમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત સ્વામિનારાયણ મંદિર આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. મંદિર એ સાંસ્કૃતિક સંકુલ છે. મંદિર એટલે ભગવાનને રહેવાનું સ્થાન. મંદિર આધ્યાત્મિક, નૈતિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, સામાજિક, ધાર્મિક વગેરે પ્રવૃતિઓનું કેન્દ્ર છે. મંદિરો એટલે માનવસુધારણાનું કેન્દ્ર સ્થાન છે. પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાને જીવો ઉપર કેવળ કૃપા કરી સંવત ૧૮૩૭ માં પ્રગટ થયા અને મુમુક્ષુ જીવોને પોતાના તરફ આકર્ષ્યા. તેમણે પોતાના સ્વરૂપનું જ્ઞાન આપવા અનેક લીલા ચરિત્રો કર્યા અને પોતાની હયાતીમાં લાખો મનુષ્યોને સત્સંગી બનાવ્યા. સત્સંગનો પ્રચાર અને પ્રસાર વધુ થાય તે હેતુસર તથા આત્યંતિક મોક્ષની શરદઋતુ સદાય માટે ચાલતી રહે આવા ઉમદા હેતુથી શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે મંદિરોની સ્થાપના કરી. અને એ જ શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાર્વભૌમ નાદવંશ ગુરુપરંપરાના ચતુર્થ વારસદાર શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર શ્રી મુક્તજીવન સ્વામીબાપા માટે જ કહે છે કે, માણસને સંસ્કારી બનાવવા માટે મંદિર, માણસને ઘડવા માટે મંદિર, સમાજ ઘડતર માટે મંદિર, સમાજની શુદ્ધિ માટે મંદિર, સદાચારની પ્રેરણા માટે મંદિર, મનની સ્થિરતા કેળવવા માટેનું માધ્યમ એટલે મંદિર. ધર્મ જ્ઞાન વૈરાગ્યના પાઠો ભણાવવા માટે મંદિર. માણસને ખરા અર્થમાં માણસ બનાવવા માટે મંદિર.

આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી મહારાજની અનુજ્ઞાથી ગોધરા તાલુકાના શ્રી સ્વામિનારાયણ મંદિર, બોડિદ્રાબુઝર્ગના ૯ મા વાર્ષિક પાટોત્સવમાં શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરના મહંતશ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી, પંચમહાલના મહંત શ્રી યોગપ્રિયદાસજી સ્વામી, શ્રી ધર્મતનયદાસજી સ્વામી, શ્રી ભગવત્ભૂષણદાસજી સ્વામી, શ્રી નિખિલેશ્વરદાસજી સ્વામી, શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી, શ્રી સંતભૂષણદાસજી સ્વામી વગેરે પૂજનીય સંતો તથા હરિભક્તોએ ષોડશોપચારથી પાટોત્સવ વિધિ, પૂજન, અર્ચન, અન્નકૂટોત્સવ, આરતી ઉતારવાનો અલભ્ય લાભ લીધો હતો તથા મહંત સ્વામીએ જણાવ્યું હતું કે, ભગવાનમાં અનન્ય નિષ્ઠા અને દ્રઢ આશરો રાખી મનુષ્ય જીવનને સાર્થક કરવું જોઈએ તો જ જીવનમાં શાશ્વત શાંતિ, અવિચળ સુખની પ્રાપ્તિ થાય છે. આ દિવ્ય અવસરનો લ્હાવો દેશો દેશના હરિભક્તોએ ઉલ્લાસભેર લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here