સિદ્ધપુર,(પાટણ ) આશિષ કુમાર પાધ્યા :-
પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ આલમમાં ગેરરીતી છતી થતા ત્રીજા રાઉન્ડમાં વધુ 14 શિક્ષકોની બદલી રદ્દ કરવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે. વિવાદાસ્પદ 27 કેસની રૂબરૂ સુનાવણીને અંતે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ 14 શિક્ષકોમાંથી પણ મોટેભાગે મહિલાઓ હોવાનું સામે આવતાં દોડધામ મચી છે.8 શિક્ષકો ના બદલી યથાવત રાખવામાં આવતાં બીજી તરફ હાશકારો પણ થયો છે.પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરી દ્વારા અગાઉ થયેલી વિવાદાસ્પદ બદલી ઓની તપાસ પૂર્ણ થઈ છે. ગત દિવસે કુલ 27 કેસની રૂબરૂ સુનાવણી શરૂ કરતાં 5 કેસ અગાઉની તપાસમાં આવી ગયા હોવાનું ધ્યાને આવ્યું હતું.આ પછી બાકી ના 22 કેસ તપાસમાં આવતાં 8 શિક્ષકોની બદલી નિયમાનુસાર હોવાનું સ્પષ્ટ કર્યું હતું.જોકે 14 શિક્ષકોની બદલી ખોટી રીતે થઈ હોવાથી તેઓની બદલીઓ તાત્કાલિક અસરથી રદ્દ કરવામાં આવી છે.આમ,બદલી કૌભાંડમાં ત્રીજા રાઉન્ડને અંતે સરેરાશ 85 શિક્ષકોની બદલી રદ્દ થતાં જિલ્લાના શિક્ષણ આલમમાં ખળભળાટ મચી ગયો છે. આ ખોટી બદલીઓમાં કોણ કોણ જવાબદાર છે તેની સઘન તપાસ ધમધમાટ શરૂ થશે એવું ચર્ચાઈ રહ્યું છે.અત્યાર સુધી સરેરાશ 3 વર્ષ દરમ્યાનની આ બદલીઓ રદ્દ કરવામાં આવતાં અનેક પરિવારોને પણ અસર થઈ છે.આ બદલી કૌભાંડમાં કથિત નાણાંકીય લેતીદેતી અને કથિત ભલામણ સહિતની બાબતો પણ તપાસનો વિષય બની શકે છે.