રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ
સ્ટેચ્યુ ઓફ યુનિટી 6 ગામની બાબતને લઇને વિરોધ કરતા કોંગ્રેસ મહામંત્રી હરેશ વસાવા સહિત ઇનડિજીનસ આર્મીના પ્રફુલ વસાવા ડિટેઈન
મહિલાઓએ રસ્તા પર ઉતરી પ્રશાસન વિરોધમાં ભારે સુત્રોચ્ચાર કર્યો
સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના 6 ગામોમાં તાર-ફેન્સીંગ મામલે સ્થાનિક આદિવાસીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે. ગતરોજ તા-30 મી મેંએ ગુજરાત કોંગ્રેસના 8 આદિવાસી ધારાસભ્યો અને કોંગ્રેસ સંગઠનના આદિવાસી હોદ્દેદારોને 6 ગામના આદિવાસીઓને મળવા મામલે પોલીસે અટકાવતા મામલો ગરમાયો હતો. આ તમામ ધારાસભ્યો અને કોંગ્રેસ સંગઠનના હોદ્દેદારોએ રસ્તા પર બેસી પોલીસની કાર્યવાહીનો વિરોધ કર્યો હતો. જેથી તેઓને પોલીસે ડિટેઈન કર્યા હતા. અસરગ્રસ્ત આદિવાસીઓની સમસ્યા મામલે કોગ્રેસના ધારાસભ્યોએ વિરોધ દર્શાવાત આ ઘટનાનો રાજ્યમાં પડઘો પડ્યો હતો.
કેવડીયાના અસરગ્રસ્ત 6 ગામના આદિવાસીઓના ટેકામા રાજયભરનાં આદિવાસી સમાજના સંગઠનો બહાર આવી રહયા છે ત્યારે આદિવાસીઓના આંદોલનને પગલે નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારને હાઈ એલર્ટ કરી દેવાયા હોવાનું પણ જાણવા મળ્યું છે.
આ ઘટના બાદ પણ કોંગ્રેસી ધારાસભ્યોએ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના 6 ગામના આદિવાસીઓને મળી વિરોધ કરવાની ચીમકી આપી હતી. જેને પગલે આજરોજ તા 31મી મેં ના નર્મદા જિલ્લામાં એન્ટ્રી પોઇન્ટ પર પોલીસ કાફલો ખડકી દેવાયો હતો, જિલ્લાના તમામ એન્ટ્રી પોઇન્ટ પર પોલીસ દ્વારા આવતા દરેક વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરાયુ હતું. આ દરમિયાન અમુક લોકોએ પોલીસ સાથે અણછાજતું વર્તન પણ કર્યું હોવાનું જાણવા મળ્યું છે, તો બીજી બાજુ નર્મદા પોલીસે સંભવિત વિરોધને પગલે રાજપીપળા નજીકની જીતનગર ચોકડી પરથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હરેશ વસાવાને અને ઇન્ડિજિનસ આર્મી ઓફ ઇન્ડિયાના સ્થાપક ડો. પ્રફુલ્લ વસાવાને ડિટેઈન કર્યા હતા, તો બીજી બાજુ કેવડિયા વિસ્તારમાં મોટી સંખ્યામાં આદીવાસી મહિલાઓ રસ્તા પર ઉતરી પડતા મામલો ગરમાયો હતો. રસ્તા પર ઉતરતી મહિલાઓએ નારા લગાવ્યા હતા કે “હમારી માંગે પુરી કરો”.
આ સિવાય કેવડિયા વિરોધ માટે આવવા નીકળેલા ચીખલીના કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલ સહિત એમના સમર્થકોને વ્યારા વિસ્તારમાં પોલીસ દ્વારા ડિટેઈન કરવામા આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
કેવડીયાના અસરગ્રસ્ત આદિવાસી ઓનો મામલો હવે ખરેખર પેચીદો બનતો જાય છે. આ માટે રાજય સરકાર હવે ટુંક સમયમાં વાટાઘાટોનો દોર શરું કરે કયાં તો અસરગ્રસ્ત આદિવાસીઓ ન્યાય મેળવવા માટે અદાલતનો સહારો લે એવી શક્યતાઓ વર્તાઇ રહી છે.