નર્મદા જીલ્લાના ડેડીયાપાડા ખાતે પ્રાંત અધિકારીને શિક્ષિત બેરોજગાર સમિતિ દ્વારા આવેદન પત્ર અપાયુ

ડેડીયાપાડા,(નર્મદા)
આશિક પઠાણ

બેરોજગાર યુવાનોને બેરોજગારી ભથ્થુ આપવામાં આવતુ નથી જે બાબતે યુવાનોમા રોષ

નર્મદા જિલ્લાનાં દેડીયાપાડા તાલુકા ખાતે ૧૭ મી સપ્ટેમ્બર રાષ્ટ્રીય બેરોજગાર દિવસ નિમિતે શિક્ષિત બેરોજગારોની વિવિધ સમસ્યાઓ સાથે શિક્ષિત બેરોજગાર સમિતિ દ્વારા માંગણી કરવા આજ રોજ પ્રાંત અધિકારી ડેડીયાપાડાને આવેદન આપવામાં આવ્યું હતુ.

આવેદનપત્ર મા જણાવ્યાનુસાર દેશભરમાં લાખોની સંખ્યામાં બેરોજગારી છે તેમ છતાં ભારત દેશમાં ચાર રાજ્યો સિવાય બીજા રાજ્યોમાં શિક્ષિત બેરોજગારોને બેકારી ભથ્થું આપવામાં આવતું નથી, જે એક શિક્ષિત વર્ગ સાથે હળહળતો અન્યાય છે, જો સરકાર શિક્ષિત લોકોને રોજગારી ન આપી શકે તો દેશને વિશ્વગુર બનાવવાની વાત સરકારના મોઢે શોભતી નથી. આદિવાસી વિસ્તારમાં જેટલી સીટ પર જે તે આદિવાસીઓની નિમણુક કરવામાં આવવી જોઈએ તે થતી નથી. તેના કારણે આદિવાસીઓ સાથે ખૂબ અન્યાય થઇ રહ્યો છે. સાથે અમુક સીટ પર આદિવાસીઓ જ હોવા જોઈએ ત્યાં પણ અન્ય કેટેગરીના વ્યક્તિ રાખવામાં આવે છે. જેથી આદિવાસી યુવાનો ડીગ્રી મેળવીને પણ બેકાર રહે છે.

ગુજરાતનો અંબાજીથી ઉમરગામ સુધીનો આદિવાસી વિસ્તાર આકાશી ખેતી પર નભે છે. તેમાં પણ નર્મદા જિલ્લાનો પછાત જિલ્લાઓમાં સમાવેશ થાય છે. જંગલ દુર્ગમ વિસ્તારમાં રોજગારીની તકો ઓછી છે. રોજગારી ન મળવાથી બેરોજગારીનું જીવન જીવી રહ્યા છે.તેથી કૌટુંબીક જવાબદારી અદા કરી શકતા નથી. આદિવાસી વિસ્તારમા અન્ય કામો પણ બહારથી આવેલ એન.જી.ઓ, સ્વૈચ્છીક સંસ્થાઓના મારફતે થાય છે. જેના કારણે આજે આઈ.ટી.આઈ., બી.એ,બી.કોમ, બી.આર.એસ, નર્સિંગ, બી.એસ.સી. એમ.આર.એસ. એમ.એસ.ડબલ્યુ, પી.ટી.સી., બી.એડ, એફ.એસ.ડબ્લ્યુ, ઍમ.ફી.એસ.ડબ્લ્યુ, જેવા અભ્યાસ પૂરો કરી અને જ્યારે નોકરી કે રોજગારી નથી મળી ત્યારે તેઓ માનસિક રીતે તૂટી જાય છે. કેટલાક તો બેરોજગારી થી કંટાળી હતાશ થઇ આત્મહત્યા તરફ દોરાય છે. જેથી દેશનું યુવા વર્ગ ગેરમાર્ગે દોરાય છે. જે એક અતિ ગંભીર બાબત છે.
અગાઉ પણ નર્મદા જિલ્લા કલેકટરશ્રી દ્વારા સરકારશ્રીને શિક્ષિત બેરોજગારો એ આવેદનપત્ર આપેલ છે યુવાનોનો અવાજ સરકાર સુધી પહોંચ્યો નથી. છેલ્લા ત્રણ ચાર વર્ષથી સરકારશ્રી દ્વારા અનેક પરીક્ષાની જાહેરાત પાડીને ફોર્મ ભરવામાં આવેલ છે, તેમાં ઉત્સાહિક યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરવા માટે મોટા શહેરોમાં રૂમો ભાડે રાખીને ૩-૪ વર્ષ સુધી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરે છે છતાં ભરતીઓ પાડવામાં આવતી નથી, ૩૫ હજારથી વધુ સંખ્યાની ભરતીઓ હજુ પણ ભરેલ નથી જેવી કે એલ.આર.ડી.,બિનસચિવાલય, તલાટી, શિક્ષણ સહાયક(ટેટ, ટાટ), ફોરેસ્ટ વિભાગની પરીક્ષાઓ બાબતે સરકારે સ્પષ્ટતા કરેલ નથી, તથા કેટલીક પરીક્ષાનું પેપર લીક થાય પરીક્ષાની તારીખો હજુ સુધી જાહેર કરવામાં આવેલ નથી.સરકાર નોકરીઓમાં રોસ્ટર પોઈન્ટ સાથે છેડછાડ કરી રહી છે. જેને કારણે બેરોજગારીનું પ્રમાણ દિવસેને દિવસે વધીને લાખોમાં થઇ ગયેલ છે. સરકારે બીજા રાજ્યોની જેમ શિક્ષિત બેરોજગારોની સંખ્યા જાહેર કરી બેરોજગારી ભથ્થુ આપવું જોઈએ એવી સિસિત બેરોજગારોની રજૂઆત છે.
આમ શિક્ષિત બેરોજગારોની સમસ્યાને ધ્યાને રાખીને સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે ભાડું ભથ્થું અથવા લોન પેટે ધિરાણના સહાય આપવામાં આવે એવી માંગ છે. જો સરકાર માંગણી સ્વીકાર નહિ કરે તો આવનાર સમયમાં ગુજરાતભરમાં આંદોલનો કરવામાં આવશે અને સાથે વિધાનસભાનો ઘેરાવ કરવામાં આવશે. જો કોઈ સરકારી સંપતિને નુકસાન પહોંચે તો તેની સંપૂર્ણ જવાબદારી સરકારશ્રીની રહેશે એવી ચીમકી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here