નર્મદા જિલ્લામાં વેપારીઓ-સેવાકિય સંસ્થાના કર્મચારીઓ માટે તા.૨૫ મી ના રોજ ખાસ વેક્સીનેશનની ડ્રાઇવ યોજાઇ

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

કોવિડ-૧૯ ની રસી લઇને આપણે પોતે, પરિવાર અને સમાજને પણ સુરક્ષિત રાખીએ : અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. વિપુલ ગામિત

તા.૨૫ મી જુલાઇ ના રોજ જિલ્લાના કુલ-૩૦ જેટલા વિવિધ કેન્દ્રો ખાતે ૧૮ થી વધુની વય ધરાવતા ૭૫૦ જેટલા વેપારીઓ-સેવાકિય સંસ્થાના કર્મચારીઓને વેક્સીનેશનની રસી અપાઇ

જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા શાકમાર્કેટ પાસે જ કેમ્પનું આયોજન કર્યું હોવાથી અમે સરળતાથી રસી લઇ શક્યા છીએ : રાજપીપલાના લાભાર્થીશ્રી રાજુભાઇ ભૈયા

વૈશ્વિક કોરોના મહામારીને અનુલક્ષીને અને કોવિડ-૧૯ ની સંભવત: ત્રીજી લહેર સામેના આગોતરા આયોજન સંદર્ભે કોરોના સંક્રમણને અટકાવવા માટે કોવિડ-૧૯ વેક્સીનની રસી જ એક માત્ર અમોધ શસ્ત્ર છે. જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહના માર્ગદર્શન અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.ડી.પલસાણાની રાહબરી હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આજે રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલ, અર્બન હેલ્થ સેન્ટર, વીર અસ્ફાક ઉલ્લાખાન શાળા, રેડ ક્રોસ બ્લડ બેંક અને સ્ટેશન રોડ શાકમાર્કટ ચાર રસ્તા સહિત જિલ્લાના કુલ-૩૦ જેટલાં વિવિધ કેન્દ્રો ખાતે ૧૮ થી વધુની વય ધરાવતા જિલ્લાના વેપારીઓ-સેવાકિય સંસ્થાના કર્મચારીઓ માટે ખાસ વેક્સીનેશન ડ્રાઇવ યોજાઇ હતી. આજે તા.૨૫ મી જુલાઇ,૨૦૨૧ ના રોજ બપોરે ૧:00 કલાક સુધીમાં ૭૫૦ જેટલા જિલ્લાના વેપારીઓ-સેવાકિય સંસ્થાના કર્મચારીઓએ વેક્સીનેશનની રસીનો લાભ લીધો છે.

અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. વિપુલ ગામિતે જણાવ્યું હતું કે, આજે તા.૨૫ મી ના રોજ સરકારશ્રીના માર્ગદર્શિકા મુજબ અને જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રીની રાહબહી હેઠળ રાજપીપલામાં ૫ સેન્ટરો સહિત જિલ્લાના અન્ય કેન્દ્રો ખાતે વેક્સીનેશન કેમ્પ રાજવામાં આવ્યાં છે. જિલ્લાના વેપારીઓ, વાણીજ્ય-કોમર્શીયલ એકમો અને સેવાકિય સંસ્થાના કર્મચારીઓ માટે ખાસ વેક્સીનેશન ડ્રાઇવ યોજાવામાં આવી છે. કોવિડ-૧૯ ની સંભવત: ત્રીજી લહેર સામેના આગોતરા આયોજન સંદર્ભે પણ વેપારીઓ વેક્સીનેશનનો મહત્તમ લાભ લે જેથી કરીને તેમના વ્યવસાય પણ ચાલુ રહે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જિલ્લાના વેપારીઓ-સેવાકિય સંસ્થાના કર્મચારીઓ ગભરાયા વિના કોરોના વેક્સીનની રસી લઇ લે. જેથી કરીને આપણે પોતે સુરક્ષિત રહીએ, પરિવાર સુરક્ષિત રહે અને સમાજને પણ સુરક્ષિત રાખી શકીએ તેમજ વેપારીભાઇઓને સમયસર વેક્સીનેશનનો લાભ લેવા અપીલ કરી છે.

મેડીકલ એસોશિયેસન અને વિવિધ વેપારી મંડળના પ્રમુખ શ્રી નયનભાઇ કાપડીયાએ જણાવ્યું હતું કે, જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા જિલ્લાના વેપારીઓ-સેવાકિય સંસ્થાના કર્મચારીઓ માટે ખાસ વેકસીનેશન કેમ્પનું આજે આયોજન કર્યું છે. તમામ વેપારીઓ વેક્સીનની રસીનો લાભ લઇ રહ્યાં છે તેમજ સરકારશ્રીના માર્ગદર્શિકા અન્વયે તમામને સમયસર અને અવશ્ય વેક્સીનેશનનો લાભ લેવા વિનંતી કરી છે.

રાજપીપલાના સ્ટેશન રોડ શાકમાર્કટ ચાર રસ્તા પાસેના વેક્સીનેશન સેન્ટર ખાતે કોવિડ-૧૯ ની રસીનો પ્રથમ ડોઝ લેતા શ્રી રાજુભાઇ કાળુભાઇ ભૈયાએ જણાવ્યું હતું કે, રાજપીપલાની નાગરિક બેંક પાસે હું શાકમાર્કડનો ધંધો કરૂં છું આજે મે કોવિડ વેક્સીનની રસી લીધી છે મને કોઇ પણ પ્રકારની મુશ્કેલી થઇ નથી તમામ વેપારી ભાઇઓએ આરોગ્યતંત્ર દ્વારા યોજવામાં આવેલા વેક્સીનેશન કેમ્પનો લાભ લેવો જોઇએ તેમજ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા શાકમાર્કટ પાસે જ કેમ્પનું આયોજન કર્યું હોવાથી અમે સરળતાથી રસી મૂકી શક્યા છીએ.

આ વેળાએ સ્ટેશન રોડ શાકમાર્કટ ચાર રસ્તા પાસેના વેક્સીનેશન સેન્ટર ખાતે રાજપીપલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રીમતી જીગીશાબેન ભટ્ટ, નર્મદા સુગર ફેક્ટરી અને ભરૂચ દુધધારા ડેરીના ચેરમેનશ્રી ઘનશ્યામભાઇ પટેલ, જિલ્લાના અગ્રણી શ્રી અજીતભાઇ પટેલ વગેરે ઉપસ્થિત રહીને વેપારીઓ-સેવાકિય સંસ્થાના કર્મચારીઓને કોવિડ-૧૯ વેક્સીનેશનની રસી લેવા પ્રાત્સાહિત કર્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here