રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-
સગર્ભા માતા અને બાળકોની તપાસ-રસીકરણ, ટીબીના દર્દીની તપાસ સહિત લોકજાગૃતિ માટે આરોગ્ય વિભાગના ઉમદા પ્રયાસ
એસ્પિરેશનલ તાલુકા અંતર્ગત નાંદોદ તાલુકામાં નર્મદા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી ના માર્ગદર્શન અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના નેતૃત્વ હેઠળ નાંદોદ તાલુકાના અનેકવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર ખાતે “આયુષ્માન ભવ:” ઝુંબેશ અને “સંપૂર્ણ સ્વાસ્થ્ય, એક સંકલ્પ” ના થીમ સાથે “સંકલ્પ સપ્તાહ” કાર્યક્રમ અંતર્ગત હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં સગર્ભા માતાની તપાસ, બાળકોનું રસીકરણ, ડાયાબિટીસ, હાઈપરટેન્શન અને ટીબીના દર્દીની તપાસ કરવામાં આવી હતી. ટીબીના રોગ સામે જનજાગૃતિ લાવવા માટે જુદાજુદા પીએસસી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે આયુષ્માન ભવ: અને સંકલ્પ સપ્તાહ નિમિત્તે “સંપૂર્ણ સ્વાસ્થ્ય, એક સંકલ્પ” ના થીમ સાથે કાર્યક્રમ અંતર્ગત સાપ્તાહિક આરોગ્ય મેળાઓમાં નિશુલ્ક એપીડી સાથે નિદાન અને સારવાર, ટેલી કન્સલટેશન, બિન ચેપી રોગોનું સ્ક્રીનીંગ, યોગા અને વેલનેસ સેશન, આભા કાર્ડ અને આયુષ્માન કાર્ડ વિતરણ કરવા સહિતની અનેકવિધ પ્રજાલક્ષી કામગીરી આરોગ્ય વિભાગના તબીબો, કર્મયોગીઓ દ્વારા કરવામાં આવી હતી.