રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-
ટીમ નર્મદા સાથે ચાર વર્ષ દરમિયાન કરેલી કામગીરીને વાગોળતા એચ.કે. વ્યાસ
નર્મદા જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર એચ.કે. વ્યાસની કુનેહપૂર્વક વહીવટકર્તા અને સફળતાપૂર્વકની ચાર વર્ષની સફર બાદ અધિક નિયામક ઉચ્ચ શિક્ષણ- ગાંધીનગરમાં નિમણૂંક સાથે બદલી થતાં ડો.બાબા સાહેબ આંબેડકર ભવન- રાજપીપલા ખાતે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા શુભેચ્છા સહ વિદાય સમારંભ યોજાયો હતો.
આ અવસરે પ્રાંત અધિકારી અને મામલતદારો એ નિવાસી અધિક કલેક્ટર એચ.કે.વ્યાસ સાથેની કામગીરી અને તેમના અનુભવોને વાગોળ્યા હતા. તેઓ ના નિખાલસ, સાલશ અને મિલનસાર સ્વભાવ, વહિવટી કુશળતા અને દિર્ઘદ્રષ્ટિ અને તેમની કોઠાસૂઝને ઉક્ત કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈએ યાદ કરી હતી.
શુભેચ્છા સહ વિદાય સમારંભમાં નિવાસી અધિક કલેક્ટર એચ.કે.વ્યાસે તેમના કાર્યકાળના સંભારણાને વાગોળતા જણાવ્યું હતું કે, તેઓશ્રી નર્મદા જિલ્લામાં ૩૧ જુલાઈ, ૨૦૧૮ ના રોજ ફરજ પર હાજર થયા ત્યારથી લઈને અત્યાર સુધી એટલે કે ટીમ નર્મદા સાથે ૫૦ મહિના કામ કરવાની તક સાંપડી છે. આ સમયગાળા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નના મહત્વના પ્રોજેક્ટ સ્ટેચ્યૂ ઓફ યુનિટી(SOU)ના લોકાર્પણની સૌથી મોટી કામગીરીમાંથી પસાર થયા છીએ. પરંતુ ટીમ નર્મદાના સહકારથી આ કામગીરીને સફળતાપૂર્વક પાર પાડી શક્યા હતા. એવા અનોક કાર્યો છે જેમાં ટીમ નર્મદાએ ખડેપગે રહી ખૂબ કામ કર્યું અને તમામ કાર્યો સફળતાપૂર્વક પાર પાડ્યાં છે. સરકાર ની યોજનાકીય કામગીરી અને વિવિધ યોજનાના લાભાર્થીઓ સુધી ઝડપથી લાભ પહોંચે તે માટે કરેલા કાર્યોને પણ યાદ કરી “ટીમ નર્મદા”નો આભાર વ્યક્ત કર્યો હતો.
ઉક્ત કાર્યક્રમમાં પ્રાયોજના વહીવટદાર પંકજ ઔંધિયા, જિલ્લા પુરવઠા અધિકારી એન.યુ.પઠાણ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી જીજ્ઞાબેન દલાલ, રાજપીપલાના પ્રાંત અધિકારી શૈલેષ ગોકલાણી, તાલુકાના મામલતદારો, નાયબ મામલતદારો, જિલ્લા કલેક્ટર કચેરીના કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નાયબ મામલતદાર હિતેશભાઈ પ્રજાપતિએ કર્યું હતું.