નર્મદા જિલ્લાના નવનિયુક્ત નિવાસી અધિક કલેકટર તરીકે હવાલો સંભાળતા સી.એ.ગાંધી

રાજપીપળા, વ(નર્મદા) આશિક પઠાણ :-

ગુજરાતના જીયોલોજી અને માઇનીંગ વિભાગના એડીશનલ ડાયરેક્ટર (GAS) સી.એ.ગાંધીની રાજ્ય સરકારે નર્મદા જિલ્લાના નિવાસી અધિક કલેકટર તરીકે બદલી સાથે નિમણૂંક કરતાં શ્રી સી.એ.ગાંધીએ રાજપીપલા ખાતે નિવાસી અધિક કલેકટર તરીકેનો હવાલો સંભાળી લીધેલ છે.

સને ૨૦૦૫ માં ગુજરાત વહિવટી સેવા સંવર્ગ (GAS) માં સીધી પસંદગીથી જામનગર શહેરના મામલતદાર તરીકે તેમની યશસ્વી કારકિર્દીનો પ્રારંભ કરનાર સી.એ.ગાંધીએ ૨૦૧૨ સુધી જામનગરમાં મામલતદાર તરીકેની સેવાઓ બાદ નાયબ કલેકટરના પદ પર બઢતી મેળવીને દ્વારકાના પ્રાંત અધિકારી તરીકે નિમણૂંક પામ્યાં હતાં. ત્યારબાદ તેઓની અમદાવાદ જિલ્લાના જિલ્લા પુરવઠા અધિકારી તરીકે સેવાઓ આપી હતી. ત્યારબાદ તેઓ ૨૦૧૪ થી ૨૦૧૭ માં રાજકોટમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે સેવાઓ આપી હતી. સી.એ.ગાંધીએ ૨૦૧૭ માં અધિક કલેકટર તરીકે બઢતી મેળવીને જામનગર જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક તરીકેની સેવાઓ બાદ ૨૦૧૮ માં અમદાવાદ ખાતે અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી તરીકે નિમણૂંક પામતા તેઓએ ૨૦૨૨ સુધી આ પદ પર કુશળતાપૂર્વક જવાબદારીઓ સંભાળી હતી.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, સી.એ.ગાંધીએ તેમની ઉક્ત સેવાકાળ દરમિયાન ૨૦૧૪ અને ૨૦૧૬ માં રાજકોટના શ્રેષ્ઠ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી તરીકેની સેવાઓને બિરદાવી ગુજરાતના રાજ્યપાલ ના હસ્તે તેમને સન્માનિત કરાયાં હતાં. તદઉપરાંત કોરોનાકાળ દરમિયાન U.S. અને U.K. ની એમ્બેસીએ તેમના નાગરિકો માટે કરાયેલી ઇવેક્યુએશનની કામગીરી બદલ અમદાવાદ જિલ્લા કલેકટર ની સાથે તેમને પણ પ્રમાણપત્ર એનાયત કરી તેમની સેવાઓને બિરદાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here