ડીસા, (બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-
ડીસા ભાજપના ઉમેદવાર પ્રવીણભાઈ માળીના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ડીસાના પશુ બજાર પાસે આવેલા એલ.એચ.કોમ્પ્લેક્સમાં રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોર અને દિનેશ અનાવાડીયા, ધારાસભ્ય શશીકાંત પંડ્યા અનેં ભામાશા રોહિતજી ઠાકોરની ઉપસ્થિતિમાં ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડીસાના વેરહાઉસ નિગમના પૂર્વ ચેરમેન મગનલાલ માળી,બનાસકાંઠા પ્રભારી સુરેશ શાહ, બહાદુરસિંહ વાઘેલા, રસિકજી ઠાકોર, અગરાજી ઠાકોર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તમામ આગેવાનોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે ભારતનો વિશ્વમાં ડંકો વગાડ્યો છે ત્યારે ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર ફરીથી બને તે માટે અને ડીસા બેઠક જંગી બહુમતીથી જીતે તે માટે કાર્યકરોને મહેનત કરવા જણાવ્યું હતું.
આ પ્રસંગે ડીસા વિધાનસભામાં ભાજપથી નારાજ થઈ ઠાકોર સમાજના અપક્ષ ઉમેદવારો અંગે ઠાકોર સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીએ ઠાકોર સમાજને અનેક જગ્યાએ ટિકિટો આપી છે. ક્યાંક સમીકરણ ગોઠવાયું ના હોય તો ટિકિટ આપી નથી. પરંતુ ઠાકોર સમાજ ભાજપ સાથે જ છે અને અમે અમારા નારાજ ઉમેદવારોને મનાવી લઈશું તેમજ સમગ્ર ઠાકોર સમાજ ભાજપ તરફી જ મતદાન કરશે.
ઠાકોર સમાજ નારાજ નથી.. જુગલજી ઠાકોર રાજ્યસભાના સાંસદ અને ઠાકોર સમાજ આગેવાન જુગલજી ઠાકોરએ જણાવ્યું હતું કે ઠાકોર સમાજ એ ભાજપની પડખે છે અને રહેશે પણ સમાજના આગેવાનો નારાજ છે તેમની માંગણી ભારતીય જનતા પાર્ટી સ્વીકારવા તૈયાર છે.