છોટાઉદેપુર, ચારણ એસ વી :-
ગુજરાતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કોઈપણ વ્યક્તિને સ્વરોજગારીની તક મળે અને તેઓ પોતાનો સ્વતંત્ર ધંધો રોજગાર શરુ કરી આત્મ નિર્ભર બને તે માટે રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંકો, પબ્લિક સેક્ટર બેંકો તથા ખાનગી બેંકો મારફતે નાણાકીય લોન મળી રહે તે હેતુસર શ્રી વાજપાઈ બેન્કેબલ યોજના જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર છોટાઉદેપુર મારફત અમલીકરણ થાય છે.
આ યોજનામાં ૧૮ થી ૬૫ વર્ષ સુધીની કોઈપણ વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે છે. લાભ લેનાર વ્યક્તિ ઓછામાં ઓછુ ધોરણ-૪ પાસ અથવા સંબંધિત ધંધાની તાલીમ/અનુભવ મેળવેલ હોવી જોઈએ.
નવા એકમ કે ચાલુ ધંધા માટે જે તે બેન્કના નિયત કરેલા વ્યાજદરે રૂ.૮ લાખ સુધીની લોન મેળવી શકે છે. જેના ઉપર ૨૦ થી ૪૦ ટકા સુધીની નિયમ મુજબ મહતમ રૂ. ૧લાખ ૨૫ હજાર સુધીની સબસીડી મળી શકે છે. યોજનાનો લાભ લેવા માટે પાસપોર્ટ ફોટો, આધાર કાર્ડ, શાળા છોડયાનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર, અનુભવનો દાખલો, છેલ્લી માર્કશીટ, ધંધાને લગતા ક્વોટેશન, ધંધાના સ્થળનો આધાર જેવા ડોક્યુમેન્ટ સાથે www.blpgujarat.gov.in પોર્ટલ ઉપર વિના મુલ્યે અરજી કરવાની રહેશે. જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા કોઈપણ પ્રકારના એજન્ટો કે અનધિકૃત વ્યક્તિઓને માન્યતા આપેલ નથી. જેથી લોન મંજુર કરવાના બહાને કોઈ વ્યક્તિ સાથે કોઈપણ પ્રકારનો નાણાકીય વ્યવહાર કરવો નહિ. આ બાબતે મુશ્કેલી જણાય તો જીલ્લા ઉદ્યોગ કેન્દ્રનો સંપર્ક કરવો.