રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ
કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ પણ જાતનું ડાયવર્ઝન ન અપાતા અવર-જવર કરવામાં લોકોને ભારે મુશ્કેલી
ચોમાસામાં વરસાદ પડતા વાહનો નાળામા ફસાઈ જતા ગ્રામજનોમા ભારે રોષ
નર્મદા જિલ્લાના ડેડીયાપાડાનાં મંડાળા, ગારદા, ખામ, ભૂટબેડાને જોડતા રોડ પર ગારદા ગામમાં હનુમાનજીના મંદિર પાસે ગરનાળાનું કામ ચાલી રહ્યું છે, જ્યાં કોન્ટ્રાકટર દ્વારા કોઈ પણ પ્રકારની કામ ચલાઉ વૈકલ્પિક વ્યવસ્થા ઉભી નહિ કરતાં અને કોઈપણ પ્રકારનું કામનું તેમજ ડાયવર્ઝનનુ બોર્ડ લગાવવામાં ન આવતાં લોકો ભારે હાલાકી વેઠી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ડેડીયાપાડા તાલુકાના મંડાળા, ગારદા, ખામી, ભુતબેડા ને જોડતાં નાળાનુ કામ પંચાયત હસ્તક ચાલી રહ્યું છે, ચોમાસાની સીઝન શરૂ થઇ ગઇ છે લાંબા સમયથી ચાલી રહેલા કામ પૂર્ણતાને આરે હજું સુધી આવેલ નથી. જેથી આ ગામના લોકોને પોતાના કામકાજ માટે અવરજવર કરવામાં ભારે તકલીફ પડી રહી છે. તેમજ આટલા બધાં ગામનાં લોકોને ચોમાસામા બહાર જઈ શકાય એવો બીજો કોઈ વિકલ્પ નથી. ગામમાંથી નેત્રંગ – દેડીયાપાડા જવા માટે આજ એકમાત્ર રસ્તેથી જવું પડે છે. પણ ચોમાસામાં વધુ વરસાદ આવવાથી ગાડીઓ ફસાઈ જાય છે… તેથી તકલીફમાં લોકો મુકાઈ જાય છે, અને દૂધ વાહન, તેમજ દરરોજ નોકરી પર જનારા લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે, ચોમાસામાં આ ગરનાળાની કામગીરી શરૂ કરતાં બીમાર દર્દીઓને પણ મુશ્કેલીનો સામનો કરવું પડે છે.
વરસાદ પડતા નાળા પર માટી નાખેલ હોય વાહનો ફસાઇ જાય છે. એક મારૂતિ વાન ફસાઇ જતા તેનાં વાનનાં ડ્રાઈવરે જણાવ્યું કે અમો બીમાર વ્યક્તિને ગાડીમાં ગામથી સારવાર અર્થે દેડિયાપાડા લઇ જઈ રહયા છીએ, જ્યારે ગારદાથી મોટા જાંબુડાને જોડતા રોડ પર પણ પુલની હાલત ખરાબ હોવાથી તેમજ વરસાદમાં કાદવ, કિચ્ચડ પડવાથી આ રસ્તા પર પણ જવું મુશ્કેલ છે, જેથી કરીને વહેલી તકે આ ગરનાળાનું કામ પૂર્ણ થાય અને ડાયવર્ઝન વાળી જગ્યાને અવરજવર લાયક તાત્કાલિક બનાવે એવી ગ્રામજનોની માંગ ઉઠી છે. કોન્ટ્રાકટર દ્વારા જો નાળુ લોકડાઉનના કારણે સમયસર ન બનવાનો હોય તો વહેલી તકે ડાયવર્ઝનની વ્યવસ્થા થાય તો આ વિસ્તારમાં લોકોની મુસીબત ઓછી થાય.