છોટાઉદેપુર, ચારણ એસ વી :-
છોટાઉદેપુરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી શૈલેશ ગોકલાણીએ એક જાહેરનામા દ્વારા જિલ્લાના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં આવેલ જિલ્લાની તમામ સરકારી કચેરીમાં વચેટીયા તરીકે કામ કરવાનો ઈરાદો ધરાવતા અનઅધિકૃત ઈસમોના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ જાહેરનામામાં વધુમાં જણાવ્યા પ્રમાણે છોટાઉદેપુર જિલ્લામાં આવેલ જિલ્લા કલેક્ટર કચેરી, જિલ્લા ન્યાયાલયની કચેરી, જિલ્લા પંચાયત કચેરી, જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓ, તાબાની પ્રાંત કચેરીઓ, તાલુકાની મામલતદાર કચેરીઓ, નગરપાલિકાઓ, પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની કચેરીઓ તેમજ જ્યાં રોજે-રોજ મોટા પ્રમાણમાં જાહેર જનતા પોતાના સરકારી કામ માટે આવતી હોય તેવી અન્ય તમામ સરકારી કચેરીઓમાં પોતાના સરકારી કામ માટે આવેલા હોય અથવા કામ કરતા હોય તેવા અથવા વ્યાજબી કામ સબબ આવેલા હોય તે સિવાયના અનઅધિકૃત ઇસમો કે ઈસમોની ટોળકી, કે જેઓ સદરહુ કચેરીમાં આવતા અરજદારોને ગેરમાર્ગે દોરી કામ કરાવી આપવા જેવી લાલચ કે ગેરમાર્ગે દોરીને વચેટીયા તરીકે કામ કરાવી આપવાનું જણાવતા હોય તેવા અનઅધિકૃત વચેટીયા તરીકે કામ કરવા ઈરાદો રાખતા વ્યક્તિઓ/ઈસમોના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આ જાહેરનામું તા.૨૧/૦૬/૨૦૨૪ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ કાયદાની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે.