છોટાઉદેપુર,
વસીમખાન
હાલ કેન્દ્ર સહિત અનેક રાજ્યોમાં ભાજપાની સરકાર સત્તામાં હોવા છતાં ગુજરાત રાજ્યના છોટાઉદેપુર નગરમાં કોંગ્રેસ પક્ષ અડીખમ કાર્યરત દેખાઈ આવે છે, જેનું મુખ્ય કારણ છોટાઉદેપુર નગરના પીઢ કોંગ્રેસી નેતાઓની સેવાકીય નીતિએ સિંચાયેલા શહેર પ્રમુખ ફેઝલભાઈ મલા, સંગ્રામસિંહ રાઠવા સહિત નવ યુવાન કાર્યકર્તાઓની મહેનત ચર્ચાના સ્થાને છે.
આજના કપરા સમયમાં એટલે કે કોરોના મહામારીના માનવભક્ષી પ્રકોપ તળે રોજે રોજ રાજકીય ઊથલ પાથલના સમાચારો પણ વહેતા થાય છે જેમાં ગુજરાત રાજ્ય ભાજપાના નવ નિયુક્ત પ્રદેશ પ્રમુખ ગામે ગામ અભિવાદન યાત્રાઓ કાઢી સોશિયલ મીડિયાની વિવાદિત ટિપ્પણીઓના નિશાને રહ્યા છે જ્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા ચાણક્ય નીતિ અપનાવી ઓન લાઇન મિટિંગો થકી પોતાના કાર્યકર્તાઓને માર્ગદર્શન આપતા રહે છે. જેને અનુરૂપ ગતરોજ કોંગ્રેસ શહેર પ્રમુખ ફેઝલભાઈ મલાની અધ્યક્ષથામાં છોટાઉદેપુર નગર પાલિકાના કારોબારી ચેરમેન સંગ્રામસિંહ રાઠવા તેમજ શહેર કોંગ્રેસ સમિતિના નગર પાલિકાના સાત વોર્ડના સંયોજકો સહિત કોંગ્રેસી કાર્યકર્તાઓએ ગુજરાત રાજ્ય કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાની ઓન લાઇન મિટિંગમાં હાજરી આપી હતી.