કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મીરઝા :-
હિન્દુ ધર્મ સેના પંચમહાલ જિલ્લા સંયોજક સંત વિક્રમદાસ બાપુના નેતૃત્વમાં મળેલી વિરાટસભાએ હિન્દુ ધર્મ એકતાની અલખ જગાવી
કાલોલ તાલુકાના દેવપુરા સ્થિત સંત સેવા આશ્રમ ખાતે પંચમહાલ જિલ્લા ધર્મ સંગઠન અને સંત સમિતિની ગુરૂવારે વિરાટસભા યોજાઇ હતી. દેવપુરા સ્થિત ભોલેશ્વર હનુમાનજીના મંદિરે સંત સેવા આશ્રમના સંત અને હિન્દુ ધર્મ સેના પંચમહાલ જિલ્લા સંયોજક વિક્રમદાસ બાપુના સાનિધ્યમાં પંચમહાલ જિલ્લાના સાધુ સંતોની મહાસભા તેમજ હિન્દુ ધર્મ સંગઠન માટે મહાંસભાનું સંયુક્ત આયોજન કરવામાં આવ્યું હતુ. આ ધર્મ સભામાં જિલ્લાના અનેક સંતો અને હિન્દુ ધર્મ સેનાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમને હિન્દુ ધર્મના વિચારો હિન્દુ સમાજની એકતા માટે સૌ યુવાનોના હૃદય સુઘી પહોચે એવો સંલ્કપ સંતો મહંતોએ રજૂ કર્યો હતો. હિન્દુ ધર્મમાં નડતરરૂપ એવા દારૂ, માંસાહાર, અંધશ્રધ્ધાના કુરિવાજોને દૂર કરવા માટે સાધુ સંતોએ ગામેગામથી સૌ યુવાનોને સંગઠિત કરી ધાર્મિક મંદિરોના માધ્યમથી સામાજિક સદભાવના ઉભી કરવાની વિચાર વાણી રજૂ કરી હતી. જે માટે સૌ સંતો અને હિન્દુ ધર્મ સંગઠનના કાર્યકરોએ હિન્દુ ધર્મ સંસ્કૃતિ અને સભ્યતાની સંક્રાંતિ માટે જરૂરી સંકલન કરવા કટિબદ્ધ થયા હતા.