કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મીરઝા :-
કાલોલ તાલુકાના બોડીદ્રા ગામના રહેવાસી મહેશભાઈ છત્રાભાઈ સોલંકી (ઉ.વ ૩૮) ગુરૂવારે બપોરના સુમારે ગામના તળાવમાં ન્હાવા પડયા હતા એ દરમ્યાન એ સમયે તળાવ કાંઠે કપડાં ધોતી ગામની મહિલાઓએ ન્હાવા પડેલા મહેશભાઈ સોલંકી પાણી બહાર નહીં દેખાતા મહિલાઓએ બુમાબુમ કરીને આસપાસના યુવકોને હકીકતથી વાકેફ કરી તળાવમાં શોધ આદરતા થોડી જહેમતને અંતે મૃત હાલતમાં લાશ મળી આવી હતી, જે ઘટના અંગે પરિવારજનોએ ઘટના સ્થળે દોડી આવીને ભારે આક્રંદ મચાવ્યું હતું. જ્યારે ગામના સ્થાનિક સરપંચ દ્વારા પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી જરૂરી પંચકયાસ રિપોર્ટ કરીને ન્હાવા પડેલા મહેશભાઈ સોલંકીને ન્હાવા દરમ્યાન તળાવના ઉંડા પાણીમાં અકસ્માતે થાપ ખાઈ જતાં પાણીમાં ડૂબી જઈને શ્વાસ ગુંગળાઇ જતા મોત નિપજ્યું હોવાના પ્રાથમિક તારણ અનુસાર અકસ્માત મોતનો ગુનો નોંધી લાશને પોસ્ટમોર્ટમ માટે કાલોલ રેફરલ હોસ્પિટલમાં મોકલી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે ચાર સંતાનોના પિતા અને ખેતમજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા ભરજુવાન પિતાના આકસ્મિક મોતથી ચારેય સંતાનોની છત્રછાયા છિનવાઈ જતાં પરિવારજનો અને ગામલોકોમાં ભારે શોક છવાયો હતો.