કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા
ગામના એક વ્યક્તિનો રિપોર્ટ પોઝીટીવ આવતા અસરગ્રસ્ત એવા સમગ્ર ખડકી ફળિયા વિસ્તારને પતરાં મારીને સીલ કરવામાં આવ્યો
કાલોલ તાલુકાના મલાવ ગામમાં ગુરૂવારે સ્થાનિક બાવન વર્ષિય માજી સરપંચનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવતા તંત્ર દ્વારા ગામના અસરગ્રસ્ત એવા સમગ્ર ખડકી ફળિયાના વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો હતો. તદ્ઉપરાંત ગુરૂવારથી જ તંત્રએ એક્શનમાં આવી આરોગ્યની આઠ જેટલી ટીમો બનાવી સંક્રમણને રોકવા માટે તકેદારીના ભાગ રૂપે પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવેલા લોકો અંગે સર્વે હાથ ધરી ગામના કુલ ૭૭ લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. જેમાં વધારે સંપર્કમાં આવેલા અસરગ્રસ્ત એવા સાત વ્યક્તિઓને મકાઈ સંશોધન કેન્દ્ર ગોધરા ખાતે સરકારી દેખરેખ હેઠળ કવેરોન્ટાઈન કરવામાં આવ્યા હતા. જોકે કોરોના પોઝીટીવ દર્દી પાછલા અઠવાડિયા દરમિયાન અનેક લોકોના સંપર્કમાં આવ્યા હોવાથી આરોગ્ય તંત્ર દ્વારા હજુ વધુ અસરકારક રીતે સર્વે અને ટેસ્ટ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે જે અંતર્ગત હજી વધુ લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવશે તેવી જાણકારી આપી હતી.