અરવલ્લી જિલ્લો અરવલ્લીની ગિરિમાળાઓના વનવિસ્તારથી સમૃદ્ધ

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

જંગલો વિના માત્ર માનવ જીવન જ નહીં પરંતુ પ્રાણીઓ અને પક્ષીઓના જીવનની પણ કલ્પના શક્ય નથી

અરવલ્લી જીલ્લો અરવલ્લીની ગિરિમાળાઓથી અને વનવિસ્તારથી સમૃદ્ધ જિલ્લો છે. વનથી પ્રભાવિત અને વનમાં વસતા આદિવાસીઓ વનથી જ પોતાની આગવી ઓળખ ધરાવે છે. ત્યારે આજે વિશ્વ વન દિવસની ઉજવણી નિમિત્તે અરવલ્લી જિલ્લાની વન સંપતિ ગૌરવ સમા ગુજરાતના વનવિસ્તારને અલાઈદી ઓળખ આપે છે.

જંગલોનું મહત્વ જણાવવા અને તેના સંરક્ષણ વિશે લોકોને જાગૃત કરવા માટે 21 માર્ચનો દિવસ સમગ્ર વિશ્વમાં ‘આંતરરાષ્ટ્રીય વન દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. જંગલોમાં જોવા મળતા વૃક્ષો અને છોડ પૃથ્વી પર ઓક્સિજનનો મુખ્ય સ્ત્રોત છે. ઓક્સિજનની ઉણપ માનવ જીવન માટે જોખમ સમાન છે, તેથી આ દિવસની ઉજવણીનો વિશેષ હેતુ લોકોને આ અંગે જાગૃત કરવાનો છે. વિશ્વભરના જંગલોને બચાવવાના ઉદ્દેશ્ય સાથે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેમજ સ્થાનિક સ્તરે પણ વિવિધ કાર્યક્રમો અને વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કરવામાં આવે છે. શાળાઓમાં પણ આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

અરવલ્લી જિલ્લો અરવલ્લી ગિરિમાળાઓની ગોદમાં આવેલો વનસમૃધ્ધિ અને વનસંપતિ તથા પ્રાકૃતિક સૌંદર્યનાં કારણે દૈદિપ્યમાન છે. તેમજ પ્રાચીન સ્થાપત્ય અને ઐતિહાસિક સ્મારકો, મેશ્વો નદીનાં કાંઠે આવેલ તીર્થધામ શામળાજી જેવા યાત્રાધામો આવેલા છે. અરવલ્લીની ગિરિમાળાઓ તથા અનેક નદીઓથી ગુંથાયેલો આ જિલ્લો રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશવાનો દરવાજો હોવાથી તે પૂર્વકાળથી જ રાજકીય અને વ્યાપારિક મહત્વ ધરાવે છે.
અરવલ્લી જિલ્લાની ઉત્તર અને પૂર્વ સરહદોને રાજસ્થાનની વિશાળ પટ્ટી સ્પર્શે છે. પછી સાબરકાંઠા જિલ્લો તથા દક્ષિણમાં ખેડા અને પંચમહાલ જિલ્લાની સરહદો સ્પર્શે છે આ જિલ્લાનો ઉત્તર અને પૂર્વ બાજુએથી અરવલ્લીને વિસ્તૃત ગિરિમાળાઓનું કુદરતી રક્ષણ મળે છે આ ગિરિમાળાઓ વિપુલ પ્રમાણમાં ખનીજ સંપત્તિ પૂરી પાડે છે મેઘરજ અને ભિલોડા તાલુકામાં વસવાટ કરતા કઠણાઈ ભર્યું જીવન જીવતા લોકો મજબૂત બાંધાના ખડતલ અને ખમીરી વાળા છે. આમ ભૌગોલિક પરિસ્થિતિને જન જીવન પર ખાસ અસર થાય છે અને તેમાં સૌથી મહત્વનો ફાળો છે વન વિસ્તારનો.

અરવલ્લી જિલ્લાના વનમાં મળતી વનસ્પતિઓ અને આયુર્વેદિક ઔષધીઓ :

ગળો, કરંજ, પુત્રજીવક, અરડૂસી, વરુણ, સીસમ, પલાશ, સાગ, ગરમાળો, મરડા સીંગ, બીલી, બહેડા, કાંચનાર, ઉદુમ્બર, મહુડો, ડમરો, જાંબુ, નગોડ, બલા, વડ, પીપળ, ફૂટજ, નીંબ,ખેર, મૂસળી,શતાવરી, મરડા શિંગી, આંબળા,

અરવલ્લી પર્વતમાળામાં વૃક્ષોનું મિશ્રણ અલગ અલગ જોવા મળે છે. જિલ્લામાં સારી સંખ્યામાં નીલગીરી વાવવામાં આવેલ છે. જિલ્લાની વૃક્ષોની પાંચ અગત્યની જાતોની જો વાત કરીએ તો નીલગીરી,લીમડા ગાંડોબાવળ,ઇઝરાયેલી બાવળ,અને ઇન્દ્રજવ મુખ્ય છે.
બીજી અગત્યની જાતોમાં આંબા, સાગ,બોરડી, કુણજી અને ગોરસ આમલી મુખ્ય છે. અરવલ્લી જિલ્લામાં પણ પરદેશી જાતોના વૃક્ષોની સંખ્યા અંદાજિત ૨૦% જેટલી જોવા મળે છે. વૃક્ષ ઘનિષ્ઠતા ૧૧.૭ જેટલી છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લાનું હવામાન તુલનાત્મક રીતે સારું છે. નીલગીરીનું મોટે પાયો વાવેતર કરવામાં આવતું હોય છે. જિલ્લામાં આર્થિક રીતે ઉપયોગી જાતો જેવી કે નીલગીરી, અરડુસી, લીમડા, દેશી બાવળ વગેરે જાતો માટે અનુકૂળ વાતાવરણ છે. જેવા તે વૃક્ષ આવરણમાં પણ સુધારો થાય છે.

અરવલ્લી જિલ્લામાં વસતા લોકોના જીવનમાં પણ વન વિસ્તારનું ખૂબ જ મોટું મહત્વ રહેલું છે. ગૌરવવતાં ગુજરાતમાં અરવલ્લી જિલ્લાની ગિરિમાળાઓ રાજ્યની સરહદની સુંદરતા વધારો કરે છે. આવો સાથે મળીને આજે વિશ્વ વન દિવસે પ્રતિજ્ઞા લઈએ કે આપણા વનવિસ્તારને આપણી ભાગીદારીથી ગુજરાતને વધુને વધુ વન સમૃદ્ધ બનાવવીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here