છોટાઉદેપુર, શેખ મુઝફ્ફર નજર :-
સ્વચ્છતાનો સંદેશો ઘર ઘર સુધી પહોચે, ગામ, શેરી, મહોલ્લો સ્વચ્છ અને સુધડ બને તેવા આશયથી રાજય સરકાર દ્વારા સ્વચ્છતા એ જ સેવા અભિયાન બે મહિના સુધી લંબાવ્યું છે. આ ત્રીજા અઠવાડિયા દરમિયાન ગુજરાત રાજ્યના દરેક સ્થળે હેરીટેજ બિલ્ડીગો, ઐતિહાસિક સ્થળો, મહાપુરૂષોની પ્રતિમાઓ, નદી તળાવની સફાઈ કરવામાં આવી રહી છે. આજે છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા છોટાઉદેપુર શહેરમાં આવેલા મ્યુઝીયમની અંદર, બહાર અને આસપાસના વિસ્તારોમાં સફાઈ કરવામાં આવી હતી. ગઈ કાલે છોટાઉદેપુરમાં મહાત્મા ગાંધીની પ્રતિમા તથા આસપાસના સ્થળોએ સાફ સફાઈ કરીને સ્વચ્છતા ઝુંબેશ વેગવતી બનાવી હતી. આ સફાઈ અભિયાનમાં નગરપાલિકાના સભ્યો, કર્મચારીઓ, અધિકારીઓ, શહેરીજનો જોડાઈને સ્વચ્છતા એજ સેવા અભિયાનને સફળ બનાવ્યું હતું.