સમાજના છેવાડાના માનવીને સરકારની કલ્યાણલક્ષી યોજનાઓના લાભો પહોંચાડી પ્રશાસનિક સંવેદનશીલતાની અનુભૂતિ કરાવવા રાજ્યના શ્રમ આયુક્ત અને નર્મદા જિલ્લા પ્રભારી સચિવ શ્રીમતી પી. ભારથીનો અનુરોધ

રાજપીપળા,(નર્મદા) આધિક પઠાણ :-

કોરોના સામે સુરક્ષા કવચ પૂરું પાડતી કોરોના રસીકરણની કામગીરીને પણ વધુ સઘન બનાવી સો ટકા લક્ષ સિદ્ધ કરવા જિલ્લા પ્રભારી સચિવ ની હિમાયત

છેવાડાના દુર્ગમ-અંતરિયાળ-ડુંગરાળ વિસ્તારમાં બિન જરૂરી વિલંબ વિના સગર્ભા મહિલાઓની સંસ્થાકીય રીતે પ્રસૂતિ થાય તે રીતના આગોતરા આયોજન સાથે સુચારૂં વ્યવસ્થા ગોઠવવા બાબતે જરૂરી માર્ગદર્શન

ગુડ ગવર્નન્સ કામગીરી અંતર્ગત રાજપીપલા ખાતે જિલ્લા પ્રભારી સચિવ શ્રીમતિ પી. ભારથીના અધ્યક્ષપદે યોજાયેલી સમીક્ષા બેઠક

ગુજરાતના શ્રમ આયુક્ત અને નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ શ્રીમતી પી. ભારથીએ સમાજના છેવાડાના માનવીને રાજ્ય સરકારની પ્રજા કલ્યાણલક્ષી યોજનાઓના મળવાપાત્ર લાભો સામે ચાલીને પહોંચાડી પ્રશાસનિક સંવેદનશીલતાની અનુભૂતિ કરાવવા “ટીમ નર્મદા” ને અનુરોધ કરવાની સાથે સમાજનો એક પણ વ્યક્તિ સરકારની યોજનાઓના લાભથી વંચિત ન રહી જાય તે માટે દરેક વિભાગને સુચારૂં કાર્યયોજના ઘડી કાઢવા અને નિયત સમાયાવધિમાં તેનું સઘન અમલીકરણ થાય તે દિશામાં “ટીમ નર્મદા“ ને કટિબધ્ધ થવાની ખાસ તાકીદ કરી હતી.
જિલ્લા કલેકટરશ્રી ડી.એ. શાહ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.ડી. પલસાણા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ, નિવાસી અધિક કલેક્ટરશ્રી એચ.કે.વ્યાસ, પ્રાયોજના વહિવટદારશ્રી બી.કે. પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એલ.એમ.ડિંડોર, પ્રાંત અધિકારીશ્રી કે.ડી. ભગત અને શ્રી દિપક બારીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી તેજશ ચૌધરી, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી એન.યુ.પઠાણ, નાયબ જિલ્લા ચુંટણી અધિકારીશ્રી એ.કે. હળપતિ સહિત વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં રાજપીપલા કલેક્ટરાલય ખાતે જિલ્લા પ્રભારી સચિવ શ્રીમતી પી. ભારથીના અધ્યક્ષપદે ગુડ ગવર્નન્સના ભાગરૂપે કામગીરીના આયોજન સંદર્ભે યોજાયેલી સમીક્ષા બેઠકને સંબોધતા શ્રીમતી ભારથીએ સામાન્ય માનવીની આશા, આકાંક્ષા-અપેક્ષાઓ સંવેદનાસભર સંતોષાય અને સરકારી સેવાઓના માધ્યમથી નાગરિકોને સુશાસન અને પારદર્શક વહિવટની સાથોસાથ લોકાભિમુખ વહિવટની પ્રતીતિ થાય તે દિશાના પ્રયાસોને વધુ ઘનિષ્ઠ બનાવવાની હિમાયત કરવાની સાથોસાથ નિરધારિત લક્ષ્યાંક સિધ્ધિ માટે તેમણે જરૂરી-ઉપયોગી માર્ગદર્શન પણ પુરુ પાડયું હતું.
પ્રભારી સચિવ શ્રીમતી પી.ભારથીએ નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામડાઓમાં માળખાકીય સુવિધાઓની ખૂટતી કડીઓની સત્વરે પૂર્તતા કરવા સાથે જિલ્લાના દરેક વિભાગે પોતાના વિભાગને લગતી યોજનાઓના લાભ નાગરિકોને સુચારૂં રીતે સરળતાથી મળી રહે તે દિશામાં કામગીરી કરવાની પણ હિમાયત કરી હતી. જનસેવા- ઇધરા કેન્દ્રોમાં પણ નાગરિકોને સારી સેવા મળે તે પ્રમાણેની કામગીરી કરવા સાથે પ્રત્યેક વિભાગને અનેકવિધ બાબતોમાં ઉપયોગી માર્ગદર્શન પણ પુરુ પાડયું હતું. જે તે વિભાગ દ્વારા થયેલી કામગીરીને રોજેરોજ સી.એમ. ડેસબોર્ડ પર અપડેટ કરવાની પણ તેમણે સૂચના આપી હતી.
જિલ્લા પ્રભારી સચિવશ્રીએ આરોગ્ય વિષયક બાબતે પણ ઉપયોગી માર્ગદર્શન આપતા જિલ્લામાં થયેલી વેકિસનેશનની કામગીરીની જાણકારી મેળવી કોરોના સામે સુરક્ષા કવચ પૂરું પાડતી કોરોના રસીકરણની કામગીરીને પણ વધુ સઘન બનાવી સો ટકા લક્ષ સિદ્ધ કરવા ઉપરાંત જિલ્લાના છેવાડાના દુર્ગમ-અંતરિયાળ-ડુંગરાળ વિસ્તારમાં કોઇપણ જાતના બિન જરૂરી વિલંબ વિના સગર્ભા મહિલાઓની સંસ્થાકીય રીતે પ્રસૂતિ થાય તે રીતના આગોતરા આયોજન સાથે સુચારૂં વ્યવસ્થા ગોઠવવા અંગે પણ તેમણે માર્ગદર્શન આપ્યું હતું.
બેઠકના પ્રારંભે જિલ્લા કલેકટરશ્રી ડી.એ. શાહે નર્મદા જિલ્લા માટે નવનિયુક્ત પ્રભારી સચિવશ્રી અને શ્રમ આયુક્ત શ્રીમતી પી. ભારથીને જિલ્લા પ્રભારી સચિવશ્રી તરીકેની જિલ્લાની આજની આ પ્રથમ મુલાકાત બદલ “ટીમ નર્મદા” તરફથી ઉષ્માભર્યા સ્વાગત સાથે આવકાર્યા હતાં. શ્રી ડી.એ. શાહે પ્રભારી સચિવશ્રીને ગુડ ગર્વનન્સ સંદર્ભે જિલ્લામાં થઇ રહેલી કામગીરીથી વાકેફ કર્યા હતા. તદ્ઉપરાંત જિલ્લાની વિશિષ્ટ કામગીરી, નવિન હેલીપેડ તેમજ અન્ય જન ઉપયોગી કામગીરી, કોરોના મહામારી દરમિયાન જિલ્લામાં કોવિડ હોસ્પિટલમાં બેડની ક્ષમતામાં વધારો, ઓક્સિજન સિલિન્ડર, PSA ઓક્સિજન પ્લાન્ટ સહિત અન્ય આનુસંગિક આરોગ્ય સવલતો માટેના ઉપકરણો, CSR અંતર્ગત વિવિધ એકમો-કંપની ધ્વારા સામાજિક ઉત્તરદાયિત્વ ક્ષેત્રે આરોગ્યલક્ષી સુવિધા ઉપલબ્ધિ તેમજ હોસ્પિટલમાં માળખાકીય સુવિધાઓની ઉપલબ્ધિ, “નોંધારાનો આધાર” પ્રોજેક્ટ, સેલ્ટર હોમ, એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ અંતર્ગત સ્માર્ટ ક્લાસ, SOUADTGA ઓથોરિટી, ઝીરો એમિનેશન એરિયા, ભુગર્ભ વિજ કેબલિંગ, વોટર સેનીટેશન, નવિન સ્માર્ટ ગ્રંથાલય, અલાયદા મહેસૂલી કવાર્ટસ વગેરે જેવી બાબતોમાં થયેલી કામગીરીથી પણ પ્રભારી સચિવશ્રીને વાકેફ કર્યા હતા.
બેઠકના અંતમાં પ્રભારી સચિવશ્રીએ ગુડ ગવર્નન્સની કામગીરીના ભાગરૂપે તેના આયોજન સંદર્ભે આપેલી સુચનાઓનો જિલ્લામાં ચુસ્ત અમલવારી કરાશે તેવી જિલ્લા કલેકટરશ્રી ડી.એ. શાહે ખાત્રી આપવાની સાથે “ટીમ નર્મદા” ની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here