રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ
શિક્ષણની જ્યોત પ્રજ્જવલીત રાખવાની સાથે શાળાના બાળકો અને વાલીઓ-વડીલોને માસ્કનું વિતરણ કરતાં બોરીદ્રા ગામના શ્રેષ્ઠ શિક્ષકશ્રી અનિલ મકવાણા
કોરોના વાયરસની મહામારીમાં બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે વિડીયો કોન્ફરન્સીંગ કરીને માહિતી શિક્ષકો સુધી પહોંચાડવામાં આવી રહી છે. પરંતું નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના અંતરિયાળ અને પહાડી વિસ્તારમાં બોરીદ્વા ગામના શિક્ષક શ્રી અનિલભાઇ મકવાણા જ્યાં નેટવર્ક ન આવતું હોય તેવા ગામમાં ઘરે જઇને બાળકોને પરિવારનો માળો સલામત અને હૂંફાળો,રમત રમાડવી જેવી વિવિધ પ્રવૃત્તિ કરી રહ્યા છે તેની સાથોસાથ કોરોનાથી સુરક્ષિત રહેવા વિદ્યાર્થીઓ અને વાલીઓ-વડીલોને ૩૦૦ જેટલા માસ્કનું વિતરણ કરાયું છે. લોકોને માસ્ક પહેરવા, વારંવાર સાબુથી હાથ ધોવા, સેનીટાઇઝ કરવા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા તેઓ વિદ્યાર્થીઓ અને વાલીઓને સમજાવી રહ્યા છે.
નાંદોદ તાલુકાના બોરીદ્વા ગામના શિક્ષક શ્રી અનિલભાઇ મકવાણાએ જણાવ્યું હતું કે, બોરીદ્વા ગામ પહાડી અને અંતરિયાળ વિસ્તારમાં આવેલ હોવાથી નેટવર્કનો પ્રોબલેમ રહેવાથી હું પોતે જ આ ગામમાં આવીને બાળકોના ઘરે ઘરે જઇને શિક્ષણ આપી રહ્યો છું. ત્યારે મારી આ પ્રવૃત્તિઓની નોંધ ફેસબુકના માધ્યમ થકી સુરતના સેવાભાવી વ્યક્તિ જયેશભાઇ ચાવડાની રજુઆત થકી ભાવનગર વિજ્ઞાન પરિષદના ડાયરેક્ટરશ્રી અને મેનેજરશ્રીના સહકાર થકી બોરીદ્વા ગામની સ્કુલના બાળકો, વ્યક્તિઓ અને વડીલોને ૩૦૦ જેટલાં માસ્કનું વિતરણ કરાયું છે. જે શિક્ષણ સેવાની સાથે સમાજસેવાની અંદર પણ આ માસ્ક કોરોના જેવી મહામારી સામે ઉપયોગી થવાનું જણાવ્યું હતું.
નાંદોદ તાલુકા પંચાયતના સભ્ય શ્રીમતી સુમિત્રાબેન નટવરભાઇ વસાવાએ કહ્યુ કે, અમારા બોરીદ્રા ગામના શિક્ષક શ્રી અનિલભાઇ લોકોના ઘરે જઇને બાળકોને શિક્ષણ આપે છે ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓ-વડીલોને ૩૦૦ જેટલા માસ્કનું વિતરણ કર્યું છે જે કોરોનાથી સુરક્ષિત રહેવા અંત્યત જરૂરી હોવાનું જણાવ્યું હતું.