કાલોલ(પંચમહાલ),
મુસ્તુફા મિર્ઝા
કાલોલ તાલુકામાં કોરોનાનો પ્રભાવ વધતા મોટી શામળદેવી ગામમાં કોરોનાએ પગપેસારો કરતા મંગળવારે પહેલો પોઝીટીવ કેસ પ્રકાશમાં આવતા શામળદેવી ગામમાં ફફડાટ ફેલાયો હતો. કાલોલમાં મંગળવારે પ્રકાશમાં આવેલા પોઝીટીવ કેસોની વિગતો મુજબ શામળદેવી ગામના અને સન ફાર્મા કંપનીમાં નોકરી કરતા દિનેશ દોલતભાઈ પરમાર(ઉ.વ૩૬) કોરોના સંક્રમણથી પ્રભાવિત બન્યા હતા. જયારે વેજલપુર નાયક સોસાયટીના રયજીભાઈ શનાભાઈ ઓડ(ઉ.વ ૪૨) અને મલાવ ગામના મહાદેવ મંદિર ફળિયાના સુમિત્રાબેન દાયાગીરી ગોસાઈ(ઉ.વ ૫૮) રેપિડ એન્ટીજન ટેસ્ટ મુજબ કોરોના પ્રભાવિત બન્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે મંગળવારે કાલોલ તાલુકાના પાંચ પી.એચ.સી કેન્દ્રો, બે સી.એચ.સી અને એક ધન્વંતરિ રથ કુલ ૧૦૬ દર્દીઓના એન્ટીજન ટેસ્ટ લેવામાં આવ્યા હતા જે પૈકી વેજલપુર, મલાવ અને કાલોલ એમ ત્રણ કેન્દ્રો ખાતે એક એક કેસ સાથે ત્રણ પોઝીટીવ કેસો પ્રકાશમાં આવ્યા હતા.
આ સાથે કાલોલ તાલુકામાં કોરોના કેસો વધીને કુલ ૧૬૦ થયા હતા જે પૈકી કોરોના અને નોનકોરોના મળી કુલ ૧૫ મોત, ૯૪ રિકવર અને હાલમાં ૫૧ કેસો સારવાર હેઠળ એક્ટીવ હોવાની તંત્રએ પુષ્ટિ કરી હતી.