28 એપ્રિલનાં રોજ જિલ્લા સેવાસદન ખાતે કલેક્ટરશ્રીનાં અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

14  એપ્રિલ સુધીમાં પોતાની અરજીઓ કલેકટર કચેરી ખાતે પહોંચાડવાની રહેશે

નિવાસી અધિક કલેક્ટરશ્રી, પંચમહાલની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર આગામી 28.04.2022નાં રોજ સવારે 11.00 કલાકે જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે. જે માટે અરજદારોએ સેવાકીય, કોર્ટ મેટર, રહેમરાહે નોકરી, પેન્શન સિવાયનાં પ્રશ્નો લેખિતમાં રૂબરૂ અથવા ટપાલ દ્વારા તા. 14.04.2022 સુધીમાં કલેક્ટર કચેરી ખાતે રજૂ કરવાનાં રહેશે. અરજદારે અરજી પર જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનાં મથાળા હેઠળ એમ સ્પષ્ટપણે દર્શાવવાનું રહેશે. તા. 14.04.2022 સુધીમાં મળેલ અરજીઓનો જ ચાલુ માસમાં સ્વાગત કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે. અરજદારે અરજીમાં ફરજિયાત રીતે પોતાનું નામ-સરનામું, મોબાઈલ નંબર, સહી કરીને પ્રશ્નો મોકલવાના રહેશે. આ કાર્યક્રમમાં લાંબા સમયથી પડતર રહેલા પ્રશ્નો અંગે અરજી કરવાની રહેશે. જિલ્લા સ્વાગતમાં અરજી કરતા પહેલા કોઈ પણ અરજદારે સૌપ્રથમ તાલુકા કક્ષાનાં સ્વાગત કાર્યક્રમમાં અને ત્યારબાદ જે કચેરીનો પ્રશ્ન હોય ત્યાં અરજી કરેલી હોવી જોઈએ. રજૂ થતા પ્રશ્નોનો જિલ્લા કક્ષાએ નિર્ણય લઈ શકાય તેવા તેમજ કોર્ટ મેટર ન થઈ હોય તેવા હોવા જોઈએ. જિલ્લા કક્ષાનો પ્રશ્ન હોય તો જિલ્લાનાં જવાબદાર અધિકારીશ્રીને કરેલ રજૂઆતની નકલ સહ અરજી કરવાની રહેશે. અરજદારે જાતે રૂબરૂ પોતાનાં પ્રશ્નનાં જ આધાર પુરાવા સાથે રજૂઆત કરી શકશે. કોઈ વકીલ કે અન્ય વ્યક્તિ દ્વારા રજૂઆત કરાવી શકાશે નહીં. આ ઉપરાંત અરજદાર એક જ વિષયને લગતી રજૂઆત કરી શકશે. સામૂહિક રજૂઆતો કરી શકાશે નહીં તેમ આ યાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here