સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-
સિદ્ધપુરના નામાંકિત જનરલ સર્જન ડો.સી.બી. શાહનું ૮૨ વર્ષની વયે હૃદયરોગના હુમલાથી આજરોજ વહેલી સવારે ૬ કલાકે અમદાવાદ ખાતે નિધન થવા પામ્યુ હતું.તેઓ એમ.એસ.( જનરલ સર્જન) ની પદવી ધરાવતા હતા.તેઓ વડોદરા નજીક ના મૂળ જરોદ ગામના વતની હતા.તેમનું પૂરું નામ ચંદ્રવદનભાઈ ભુલાદાસ શાહ હતું.તેઓએ ૭૦ ના દાયકામાં સિદ્ધપુરને પોતાની કર્મભૂમિ બનાવી હતી.સ્નેહીજનો તેમજ ગરીબો સહિત દીનદુખિયા દર્દીઓમાં તેઓ ડો.સી.બી. શાહ તરીકે જાણીતા હતા. સૌમ્ય અને મુદુભાષી વ્યક્તિત્વ ધરાવતા ડો.સી. બી.શાહ તેમના દર્દીઓને સાક્ષાત ભગવાન માનતા હતા.સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં આશરે આઠ વર્ષ સર્જન તરીકે ઉમદા ફરજ બજાવી તેઓએ ખરા અર્થમાં ગરીબ દર્દી ઓની સેવા કરી હતી. ત્યારબાદ તેઓએ શહેરમાં અમી હોસ્પિટલ શરૂ કરીને ગરીબ દર્દીઓની અવિરત સેવા કરતા રહ્યા હતા.તેઓ સિદ્ધપુર લાયન્સ કલબ તેમજ રેડ ક્રોસ જેવી સેવાકીય સંસ્થાઓ પ્રમુખ પદે રહી સેવાઓ આપી ચુક્યા છે.આ ઉપરાંત તેઓ મેડિકલક્ષેત્રની અનેક સંસ્થાઓ સાથે પણ જીવનપર્યતં જોડાયેલા હતા.દર્દીઓના જીવનમાં રક્તની મહત્વતાને સારી રીતે સમજતા ડો.શાહે અનેકવખત બ્લડ ડોનેશન કેમ્પના આયોજનમાં મહત્વની ભૂમિકા અદા કરી હતી.સાથોસાથ તેઓએ તેમના જીવનકાળમાં અનેક વખત રક્તદાન કરી એક સારા રક્તદાતા પણ રહી ચૂક્યા છે.સિદ્ધપુરમાં ચક્ષુ દાનની સેવા શરૂ કરાવવામાં તેઓએ પણ મહત્વનું યોગદાન પ્રદાન કરેલ છે.જે આજેય અવિસ્મરણીય છે. તેઓ તેમની પાછળ તેમની ધર્મપત્ની કુસુમબેન સહિત બે પુત્રો ચિરાગભાઈ અને હાર્દિકભાઈના પરિવાર સહીત દીકરી અમીબેનના પરિવારને વિલાપ કરતા છોડી ગયા છે.તેઓની અંતિમક્રિયા સિદ્ધપુર મુક્તિધામ ખાતે કરવામાં આવનાર છે.