શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના કરસાણા ખાતે વિધાનસભાના ઉપાધ્યક્ષશ્રી જેઠાભાઈ ભરવાડના હસ્તે નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો ઉદ્દઘાટન કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે આયોજીત કાર્યક્રમમાં વિધાનસભાના ઉપાધ્યક્ષશ્રીએ જણાવ્યું હતું કે,કરસાણા ખાતે નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ થતા આજુબાજુના વિસ્તારના લોકોને આરોગ્યલક્ષી સુવિધાઓ ઘર આંગણે જ મળી રહેશે.
આ પ્રસંગે શાબ્દિક સ્વાગત અને પ્રાસંગિક ઉદ્દબોધન કરતા પંચમહાલ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી ડો.મહેશ ચૌધરીએ જણાવ્યું કે,પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કરસાણાના વિસ્તારમાં કુલ ૧૪ ગામોમાં ૨૮,૯૪૪ વસ્તી,૦૫ સબ સેન્ટર ૩૫ આંગણવાડી અને ૩૫ પ્રાથમિક અને ૦૬ માધ્યમિક શાળાઓ આવેલી છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કરસાણામાં તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.ડામોરના માર્ગદર્શન હેઠળ
ડો.ધૈર્ય મૈત્રેય અને ડો.નીલાબેન ગોસાઈ સાથે સંપૂર્ણ આરોગ્ય સ્ટાફ તેમજ આરોગ્ય લગતી સેવાઓથી સજ્જ એવા આ નવનિર્મિત આરોગ્ય કેન્દ્રથી વિસ્તારના લોકોને તમામ પ્રકારની આરોગ્ય લક્ષી સેવાઓ જેવી કે રોજિંદી ઓ.પી.ડી.માં તમામ પ્રકારના ચેપી અને બિનચેપી રોગોની સારવાર તેમજ તેની સલાહ, ટીબી,મેલેરિયા,લેપ્રસી અને માતૃ સંભાર સેવાઓમાં સગર્ભા માતાની નોંધણી, રસીકરણ,આર્યન અને કેલ્શિયમની ગોળીઓ,હિમોગ્લોબીન -એનિમિયા, તેમજ બ્લડ પ્રેશરની ચકાસણી વગેરે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જ મળી રહેશે. તેવી જ રીતે બાળ સંભાળ સેવાઓમાં શિશુ આરોગ્ય સંભાળ સેવાઓ, કિશોર અવસ્થા દરમિયાન આ વય જૂથમાં શારીરિક- માનસિક ફેરફાર – વિકાસ અંતર્ગત આરોગ્યલક્ષી સંપૂર્ણ માહિતી તેમજ તેઓમાં અતિ મહત્વની એનિમિયા અંતર્ગત હિમોગ્લોબિનની તપાસ તેમજ વિસ્તારમાંથી કુપોષિત બાળકોને શોધી સારવાર આપવાની સેવાઓનો લાભ મળી રહેશે. આ સાથે કુટુંબ નિયોજન, માનસિક આરોગ્ય સંભાળ તેમજ આંખ,કાન,નાક, દાંતને લગતી પ્રાથમિક આરોગ્ય સેવાઓ તેમજ માર્ગદર્શન મળી રહેશે.
આ ઉપરાંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સરકારશ્રી દ્વારા આપવામાં આવતી તમામ આરોગ્ય લક્ષી સેવાઓ અંતર્ગત યોજના કે લાભો વિસ્તારના તમામ પાત્રતા ધરાવનાર વ્યક્તિઓને ઘર આંગણે જ મળી રહેશે.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રેણુકાબેન ડાયરા,તાલુકા પંચાયતના પ્રમુખશ્રી,જિલ્લા અને તાલુકાના સભ્યશ્રીઓ,વિવિધ હોદ્દેદારો,મહાનુભાવો, આરોગ્ય અધિકારીશ્રીઓ,કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા.