ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-
આરોગ્ય રાજ્યમંત્રીશ્રીના હસ્તે જિલ્લામાં સુશાસન સપ્તાહ ઉજવણીનો પ્રારંભ કરાશે
ભારતના 10માં વડાપ્રધાન સ્વ.શ્રી અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે આવતીકાલે રાજ્યભરમાં સુશાસન દિનની ઉજવણી કરવામાં આવશે, જે અંતર્ગત પંચમહાલ જિલ્લાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સરદાર નગરખંડ ખાતે આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, અને તબીબી શિક્ષણ રાજ્યમંત્રીશ્રી નિમિષાબેન સુથારનાં અધ્યક્ષસ્થાને બપોરે 14.30 થી 17.00 કલાક દરમિયાન યોજાશે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 25 ડિસેમ્બર થી 31 ડિસેમ્બર, 2021 સમગ્ર સપ્તાહને સુશાસન સપ્તાહ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત જિલ્લામાં પણ વિવિધ કલ્યાણકારી યોજનાઓ હેઠળ લાભોનું વિતરણ કરશે. આવતીકાલે રાજ્યકક્ષાનો કાર્યક્રમ ગાંધીનગર ખાતે યોજાશે, જેનું લાઈવ પ્રસારણ પણ ગોધરા ખાતેના કાર્યક્રમમાં કરવામાં આવશે. આ સાપ્તાહિક ઉજવણીમાં શહેરી વિકાસ અને જનકલ્યાણ, આરોગ્ય, સુખાકારી, પોષણ અને મહિલા સશક્તિકરણ, કૃષિ વિકાસ, ખેડૂત અને પશુપાલક કલ્યાણ, સામાજિક ન્યાય અને અધિકારિતા, આદિજાતિ કલ્યાણ, રોજગાર, તાલીમ અને યુવા સશક્તિકરણ, પંચાયત, ગ્રામ વિકાસ અને જનકલ્યાણની થીમ પર દૈનિક ધોરણે કાર્યક્રમો અને લાભોના વિતરણનું આયોજન કરવામાં આવશે.