રાજપીપળા ખાતે રમતવીરો માટે રૂ. ૧૦ કરોડના ખર્ચે નવનિર્મિત ડોરમેટરી ભવન અને સિન્થેટીક ટ્રેકની ભેટ આપતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

નર્મદાના રમતવીરોની પ્રતિભાને પ્રદર્શિત કરવા રાજપીપલાની સ્પોર્ટ્સ સંકુલ એક શ્રેષ્ઠ મંચ –  રમત-ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રીશ્રી હર્ષ સંઘવી

ગુજરાત રાજ્ય વ્યાપક ફલક ઉપર સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભુ કરીને ખેલકૂદ ક્ષેત્રે આગવી ઓળખ પ્રસ્થાપિત કરી રહ્યું છે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્યમાં સ્પોર્ટિંગ કલચર અને ફિટનેસ પર વિશેષ ભાર અપાયો છે

દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વીઝનરી નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય વ્યાપક ફલક ઉપર સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભુ કરીને ખેલકૂદ ક્ષેત્રે એક આગવી ઓળખ પ્રસ્થાપિત કરી રહ્યું છે. ત્યારે તેની એક ઝલક ગુજરાતના રમત-ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી હર્ષભાઈ સંઘવીએ રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રાજપીપલા રમત સંકુલ ખાતે પ્રતિભાશાળી ખેલાડીઓને મંચ પ્રદાન કરવાના ઉમદા આશય સાથે નવનિર્મિત રૂ. ૨.૫૦ કરોડના ખર્ચે ડોરમેટરી ભવન અને રૂ. ૭.૫૦ કરોડના ખર્ચે સિન્થેટીક એથ્લેટીક ટ્રેકનું લોકાર્પણ કરીને રમતવીરોને ભેટ આપી હતી.

રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીએ રાજપીપળા રમત ગમત સંકુલ ખાતે યોજાયેલ કાર્યક્રમ પ્રસંગે જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લાના આદિજાતિ સહિત પ્રત્યેક રમતવીરોને પ્રોત્સાહિત કરવા માટે કુલ રૂ.૧૦ કરોડના ખર્ચે નિર્માણાધિન આધુનિક સુવિધાઓથી સજ્જ આ ટ્રેક જે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમતવીરોની પ્રતિભાને પ્રદર્શિત કરવા માટે એક શ્રેષ્ઠ મંચ પ્રદાન કરશે. મંત્રી સંઘવી એ પ્રતિભાશાળી ખેલાડીઓમાં રહેલ ક્ષમતાને ઉજાગર કરવા માટે શક્તિદૂત યોજના અંગે પણ ચર્ચા કરી હતી.

શું છે શક્તિદૂત યોજના ?
વર્ષ ૨૦૦૭ માં અમલી આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના ખેલાડીઓ માટે શક્તિદૂત બનવાનો છે. રમતવીરોને અદ્યતન રમતના સાધનો, કોચિંગ, તાલીમ, સ્પર્ધા ખર્ચ સહિત અન્ય સવલતો જેવી સુવિધાઓ માટે નાણાકીય સહાય આપવાનો છે. જેથી નર્મદા જિલ્લના સહિત રાજ્યના પ્રતિભાશાળી ખેલાડીઓ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે મેડલ જીતે અને દેશનું નામ રોશન કરે.

રમત-ગમત મંત્રી સંઘવી નું રમતવીરો તેમજ જિલ્લા પ્રશાસનને આહ્વાન
સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ખેલાડીઓ પોતાના રમત પર ધ્યાન કેન્દ્રિત કરી શકે તે માટે વૃક્ષારોપણ કરવા પ્રોત્સાહિત કર્યા હતા. સુગમ વાતાવરણમાં ખેલાડીઓ પોતાની પ્રતિભા નિખારે અને જિલ્લા તંત્ર ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા અંગે ગૃહ રાજ્યમંત્રી એ પોતાના મંતવ્યો રજૂ કરી શુભેચ્છા પાઠવી હતી. 

આ વેળાએ આધુનિક સિન્થેટિક ટ્રેકનું લોકાર્પણ કરતાની સાથે હર્ષ સંઘવી એ અંદાજિત ૧૦૦ રમતવીરોની ટ્રેક પર ૪૦૦ મીટરની સ્પર્ધા કરાવીને રમતક્ષેત્રે ઉંચા આકાશને સર કરવા સહિત ઉચ્ચ સ્તરની તૈયારીઓ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્યમાં સ્પોર્ટિંગ કલચર અને ફિટનેસ પર વિશેષ ભાર આપવામાં આવી રહ્યો છે. આજે ગુજરાતના ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય કક્ષાની રમત સ્પર્ધાઓ અને ઓલમ્પિક જેવી મેગા ઇવેન્ટ્સની યજમાની કરવા સજ્જ બન્યુ છે. કહી શકાય કે, ભારતમાં ખેલકુદનો સુવર્ણકાળ આવ્યો છે.

કાર્યક્રમના અંતિમ ચરણમાં જિલ્લા વહિવટતંત્ર તરફથી હર્ષ સંઘવી ને સ્મૃતિરૂપે સરદાર સાહેબની પ્રતિકૃતિ ભેટ આપવામાં આવી હતી. જ્યાં રમતવીરોને પ્રોત્સાહિત કરવા માટે સાંસદ મનસુખભાઈ વસાવા અને ગીતાબેન રાઠવા, નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ, રાજપીપલા નગરપાલિકા પ્રમુખ કુલદિપસિંહ ગોહીલ, નર્મદા સુગર ફેક્ટરી તથા ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે, જિલ્લા રમત વિકાસ અધિકારી વિષ્ણુભાઈ વસાવા સહિત જિલ્લા વહિવટીતંત્રના અધિકારી, કર્મયોગીઓ સહિત મોટી સંખ્યામાં રમતવીરોએ ઉત્સાહભેર હાજરી નોંધાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here