રાજપીપળા,(નર્મદા) આધિક પઠાણ :-
લૂપ્ત થતાં અસલી શેરી ગરબાને છેલ્લા ૯ વર્ષથી જીવંત રાખવાનો પ્રેસ ક્લબ નર્મદાનો સ્તુત્ય પ્રયાસ
નર્મદા જિલ્લામા ઘણા વખતથી લૂપ્ત થતાં અસલી શેરી ગરબાને છેલ્લા ૯ વર્ષથી પ્રેસ ક્લબ નર્મદા-રાજપીપલા દ્વારા જીવંત રાખવાનો સ્તુત્ય પ્રયાસ થઈ રહ્યો છે, ત્યારે ચાલુ વર્ષે પ્રેસ કલબ નર્મદા-રાજપીપલા આયોજીત અને સુરક્ષા સેતુ સોસાયટી-નર્મદા પોલીસ પ્રાયોજીત અને સ્વ.રત્નસિંહજી મહિડાના સ્મરણાર્થે દ્વિ-દિવસીય નવમો નવરાત્રી શેરી ગરબા મહોત્સવ (હરીફાઈ)-૨૦૨૧ નું આયોજન તા.૯/૧૦/૨૦૨૧ ને શનિવાર અને તા.૧૦/૧૦/૨૦૨૧ ને રવિવાર એમ બે દિવસ ઈનામી શેરી ગરબા હરીફાઈનું આયોજન કરેલ છે, જેનું ઉદ્દઘાટન તા.૯/૧૦/૨૦૨૧ ને શનિવારના રોજ નવદુર્ગા હાઈસ્કૂલ, રાજપીપલા ખાતે સાંજે ૭:૦૦ કલાકે રાખેલ છે. જેમાં સમારંભના ઉદ્દઘાટક અને મુખ્યમહેમાન તરીકે ભરૂચના સાંસદશ્રી મનસુખભાઇ વસાવા, છોટાઉદેપુરના સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા તેમજ નાંદોદના ધારાસભ્યશ્રી પી.ડી.વસાવા ઉપસ્થિત રહેશે.
સમારંભના અતિથિવિશેષ તરીકે ભરૂચ દૂધધારા ડેરી અને નર્મદા સુગર ફેક્ટરીના ચેરમેનશ્રી ઘનશ્યામભાઈ પટેલ, રાજપીપલા નગરપાલિકાના પ્રમુખશ્રી કૂલદીપસિંહ ગોહિલ તેમજ સમારંભમાં વિશેષ ઉપસ્થિતિ તરીકે જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ. શાહ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ, જિલ્લા રમતગમત અધિકારીશ્રી એસ.એન.અસારી અને નવદુર્ગા હાઈસ્કૂલના આચાર્ય શ્રીમતી રીનાબેન પંડ્યા ઉપસ્થિત રહેશે, તેમ પ્રેસ ક્લબ નર્મદાના પ્રમુખશ્રી દીપક જગતાપ અને મંત્રીશ્રી આશિક પઠાણની એક અખબારી યાદીમાં જણાવાયું છે.