નર્મદા જીલ્લા આયોજન મંડળની બેઠકમાં વિકાસના કામોની સમીક્ષા કરાઈ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જિલ્લામાં વિવેકાધિન જોગવાઈઓ હેઠળના વિકાસ કામો ઝડપથી નિયત સમયવધિમાં પૂર્ણ કરવા અધિકારીઓને માર્ગદર્શન પુરૂં પાડતા જિલ્લા પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમાર

ગુજરાત રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અને નર્મદા જિલ્લના પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમારના અધ્યક્ષપદે આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે નર્મદા જિલ્લા આયોજન મંડળની યોજાયેલી બેઠકમાં મંત્રીશ્રી પરમારે ગત બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપ્યા બાદ વર્ષ ૨૦૨૦-૨૧, ૨૦૨૧-૨૨ અને ૨૦૨૨-૨૩ ના વિકાસ કામોની સમીક્ષા કરી સને ૨૦૨૩-૨૪ના વિવેકાધિન (તાલુકા કક્ષા), પ્રોત્સાહક, નગરપાલિકા અને જિલ્લા કક્ષાની જોગવાઈઓના આયોજન, સાંસદ અને ધારાસભ્યના કામોની સમીક્ષા સાથે ચર્ચા કરી હતી. જેમાં નવા હાથ ધરાયેલા અને પ્રગતિ હેઠળના વિકાસ કામો ઝડપથી નિયત સમયવધિમાં પૂર્ણ થાય તે જોવા સંબંધિત અમલીકરણ અધિકારીઓને માર્ગદર્શન પુરૂં પાડવાની સાથે મંત્રીએ જરૂરી સૂચનો કર્યાં હતા.

સંસદસભ્ય મનસુખભાઈ વસાવા અને શ્રીમતી ગીતાબેન રાઠવા, ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ અને ચૈતરભાઈ વસાવા, નગરપાલિકા-તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, નાયબ વન સંરક્ષક નિરજકુમાર, જિલ્લા આયોજન અધિકારી શશાંક પાંડે સહિત જિલ્લા આયોજન મંડળના સભ્યશ્રીઓ ઉપરાંત વિવિધ અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી નર્મદા જિલ્લા આયોજન મંડળની બેઠકને સંબોધતા મંત્રી ભીખુસિંહજી પરમારે જિલ્લાના વિકાસકામોમાં કોઈ પણ પ્રકારની કચાશ ન રહે તે જોવા અને વિવિધ યોજનાના લક્ષિત લાભાર્થીઓ અને જિલ્લા વહિવટીતંત્ર વચ્ચે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓની ભૂમિકા મહત્વની રહેલી છે, ત્યારે વિકાસ કામોના આયોજન અને તેના અમલીકરણની દિશામાં જરૂરી સંકલન જળવાઈ રહે તેવી તેમણે ખાસ હિમાયત કરી હતી.

ઉક્ત બેઠક દરમિયાન જિલ્લા આયોજન અધિકારી શશાંક પાંડેએ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી જિલ્લામાં હાથ ધરાનારા વિવિધ વિકાસ કામોની વિગતવાર માહિતી પુરી પાડી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here