રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-
અરજદારોના પ્રશ્નો તથા રજૂઆતો રૂબરૂ સાંભળ્યા બાદ તેનો હકારાત્મક ઉકેલ લાવવા નર્મદા કલેકટર શ્વેતા તેવટીયા ની અધિકારી ઓને સૂચના
અરજદારો દ્વારા માલિકીની જમીન પર અનધિકૃત દબાણ, રેશન કાર્ડ, આંગણવાડી સહિતના વિવિધ પ્રશ્નો અંગે કરી રજૂઆત
નાગરિકોએ તેમની ફરિયાદ માટે ઉચ્ચ કક્ષાએ જવું ન પડે અને સ્થાનિક કક્ષાએ તેમના પ્રશ્નનો નિરાકરણ લાવવા માટે રાજ્યના તમામ જિલ્લાઓમાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ દિવસનું દર માસના ચોથા ગુરૂવારે આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત આજરોજ જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમ બેઠકમાં કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા, જિલ્લા વિકાસ અધિકાર અંકિત પન્નું, પ્રોબેશનરી (IAS) સુશ્રી પ્રતિભા દહિયા, નિવાસી અધિક કલેકટરશ્રી સી.કે. ઉંધાડ સહિતના વિવિધ કચેરીઓના વડાઓએ નાગરિકોના પ્રશ્નો તથા રજૂઆતો રૂબરૂ સાંભળ્યા હતાં.
કાર્યક્રમમાં અરજદારો દ્વારા માલિકીની જમીન પર અનધિકૃત દબાણ, રેશન કાર્ડ, આંગણવાડીના પ્રશ્નો, પેઢીનામાં કાઢી આપવા બાબત સહિતના વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી. જે પ્રશ્નો અંગેની વિગતો સાંભળ્યા બાદ તેને લગતા વિભાગોને તાત્કાલિક તેનો ઉકેલ લાવવા કલેક્ટરશ્રીએ ઉપસ્થિત કચેરીઓના વડાઓને સલાહ સૂચનો આપવામાં આવ્યા હતાં.
બેઠકમાં નાંદોદ પ્રાંત અધિકારી કેતુલ ઇટાલિયા, દેડીયાપાડા પ્રાંત અધિકારી ડી. આર. સંગાડા સહિત સંલગ્ન વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.