રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-
તિલકવાડા તાલુકાના વોરા ગામ ખાતેની એકતા ટ્રેડર્સ માંથી ખાતર ખરીદનારા વનમાળા ના ખેડૂતોનો ખાતરની ગુણવત્તા સામે ગંભીરા આરોપ
ખાતર ડેપોના માલિકે ઓરીજનલ ખાતર કહી વેચેલા શ્રીફોસ કંપની ના ખાતર ની ગુણવત્તા સામે ખેડુતો એ પ્રશ્ન ઉભા કર્યા
હાલ ચોમાસાની સિઝન ચાલતી હોય ધરતીપુત્રો ખેતીના કામમાં આવ્યા છે પોતાના ખેતરોમાં વાવણી કરી પોતાના ખેતીના પાકોનું વધુ ઉત્પાદન થાય એ માટે ખેડૂતો પોતાના ખેતરોમાં ખાતર નાખતા હોય છે ત્યારે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં 10 થી 12 જેટલા ખેડૂતોને પોતે ખરીદેલા ખાતર તેમના ખેતરમાં નાખતા તેમણે વાવેલા પાકને ખાતરની કોઈપણ જાતની અસર ન થતા તેઓએ ખાતરની ગુણવત્તા સામે સવાલો ઊભા કર્યા છે અને દુકાનદારે પોતાને ડુપ્લીકેટ હલકી ગુણવત્તા વાળું ખાતર આપ્યો હોવાનું ગંભીર આરોપ લગાવ્યો છે.
મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના વનમાળા ગામના ૧૦ થી ૧૨ જેટલા ખેડૂતોએ ₹1,250 ના ભાવની ખાતરની 40 જેટલી ગુણ શ્રીફોસ નામની ખાતર બનાવતી કંપનીની વોરા ગામના એકતા ટ્રેડર્સ નામના ડીલર પાસેથી ખરીદી હતી. આ ખાતર લાવી તેઓએ પોતાના ખેતરોમાં ખાતરનો છંટકાવ કરતા તેઓના કપાસના પાક ખાતર નાખ્યા પછી કોઈ પણ જાતનો ઉભાર કે પાકમાં વધારો ન આવતા અને કપાસના છોડ તેવા ને તેવા જ રહેતા તેઓને મળેલ ખાતર હલકી ગુણવત્તા વાળું હોવાનું જાણી તેઓએ એકતા ટ્રેડર્સ ખાતે વોરા ગામ પહોંચી ડીલરને પોતાની ફરિયાદ કરી હતી. આ ફરિયાદના પગલે ડીલારે કંપનીને જાણ કરતા કંપનીના માણસો પણ વોરા ગામ ખાતે આવ્યા હતા અને ખેડૂતોને બોલાવી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો , ખેડૂતોએ પોતાને પોતાના નાણા પરત મળી જાય એ રીતે માંગણી કરી હતી કંપનીના માણસો પાસે પણ રજૂઆત કરી હતી પરંતુ આ મામલામાં કોઈપણ જાતનું નિરાકરણ ન આવતા અને હાલ પોતાનો પાક બરબાદ થઈ જવાની પરિસ્થિતિ સર્જાતા ખેડૂતો આક્રમક મૂડ માં આવ્યા છે અને તેઓએ તિલકવાળા મામલતદારને પણ ફરિયાદ કરી હોવાનું જાણવા મળ્યું છે.
આ મામલે વનવાડા ગામના ખેડૂત કનુભાઈ ભીખાભાઈ બારીયાએ પોતાનો આક્રોશ કરતાં જણાવ્યું હતું કે પોતે પોતાના દાગીના ગીરવે મૂકીને ખાતર લાવ્યા છે અને પોતાના કપાસના પાકમાં ખાતર નાખતા જાણવા મળ્યું કે આ ખાતર હલકી ગુણવત્તા વાળું છે જેથી હાલ તો તેમના રોવાનો વારો આવ્યો છે અને આત્મહત્યા કરવાની પણ નોબત આવે તો નવાઈ નહીં નું જણાવ્યું હતું.