ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-
જિલ્લા કલેક્ટરશ્રી સુજલ મયાત્રાના અધ્યક્ષસ્થાને સેવાસદન, ગોધરા ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતીની બેઠક યોજાઈ હતી. બેઠકમાં કલેક્ટરશ્રીએ વિવિધ વિભાગોમાં પેન્ડિંગ અરજીઓની સ્થિતિ, નાગરિક અધિકારપત્ર અન્વયે મળેલી અરજીઓના નિકાલની સ્થિતિ, તૈયાર કરવાના થતા પેન્શન કેસોની સ્થિતિ, ખાતાકીય તપાસના બાકી કેસોની સ્થિતિની વિગતવાર માહિતી લેતા આ અંગે ઝ઼ડપી કામગીરી કરવા સંબંધિત અધિકારીઓને નિર્દેશ આપ્યો હતો. વિવિધ વિભાગો દ્વારા બાકી નીકળતા સરકારી લહેણાની વસૂલાત વિશે વિગતો મેળવતા આ કામગીરી અગત્યની હોવાથી તેને પ્રાધાન્ય આપવા સંબંધિત વિભાગોને જણાવ્યું હતું. કલેક્ટરશ્રીએ દરેક વિભાગને કર્મચારીઓના નિવૃત્તિના અને પેન્શનના કેસો સમય મર્યાદામાં તૈયાર કરી આગામી સમયમાં નિવૃત થતા કર્મચારીઓની જરૂરી કામગીરી આગોતરા આયોજન સાથે કરવા જણાવ્યું હતું. સમયસર દરેક યોજનાનો લાભ નાગરિકોને મળે તો જ સરકારની યોજનાઓ ફળીભૂત થાય છે એમ જણાવી દરેક વિભાગને પોતાના હસ્તકની યોજનાઓ અંગે સંવેદનશીલતા જાળવી જાહેર જનતાને મદદરૂપ થવાના હેતુથી કામગીરી કરવા જિલ્લા સમાહર્તાશ્રીએ જણાવ્યું હતું.
બેઠકમાં જિલ્લાના પોલિસ વડા ડો. લીના પાટિલ, નિવાસી અધિક કલેક્ટરશ્રી એમ.ડી.ચુડાસમા, પ્રાયોજના વહીવટદારશ્રી એસ.કે.રાઠોડ, પ્રાંત અધિકારી ગોધરાશ્રી એન.બી.રાજપૂત, કાર્યપાલક ઈજનેર માર્ગ-મકાન (સ્ટેટ) શ્રી એન.સી. ભટ્ટ સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.