સમગ્ર ભારતમાં આજે રામ નવમી ના દિવસે આસુરી શક્તિઓનો અંત કરી જગતમાં રામ રાજ્યની સ્થાપના કરનાર પ્રભુ શ્રી રામજી નો જન્મોત્સવ ભારે ધૂમધામ થી મનાવવામાં આવે છે છોટાઉદેપુર ખાતે રામજીના મંદિરમાં રામ જન્મોત્સવ ભારે ભક્તિભાવ થી મનાવવામાં આવ્યો હતો. તા. 29-3-2023 ના બપોરે 12 કલાક થી અખણ્ડ રામધૂન કરવામાં આવી હતી ત્યાર બાદ આજરોજ તા. 30-3-2023 ના બપોરે 12 કલાકે ગોરા રામજી મંદિરમાં મહા આરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, ધારાસભ્ય જેન્તીભાઇ રાઠવા , પૂર્વ પાલિકા પ્રમુખ સંગ્રામસિંહ રાઠવા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. બપોરે 3.30 કલાકે ભગવાન શ્રી રામજી ની ભવ્ય શોભાયાત્રા બેન્ડ વાજા , ભજન મંડળો અને વિવિધ ઝાંખીઓ સહિત નગરમાં ફરી હતી. નગર તેમજ આસપાસ ગ્રામ્ય વિસ્તારના સાધુ સંતો , મહંતો આ પ્રસન્ગે ઉપસ્થિત રહી શોભાયાત્રામાં જોડાયા હતા. બેન્ડ અને ડીજેમાં ભક્તિ રસ થી તરબોળ ભજનોની સુરાવલી થી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. રામજીની શોભાયાત્રા ને લઇ નગરની પ્રજા ભારે ઉત્સાહિત જણાતી હતી. અને બપોર થી જ બજારો બંધ થઇ ગયા હતા. જય શ્રી રામના ઉદઘોષ સાથે ભગવા ઝંડા લઇ યુવાનો શોભાયાત્રા નો આનંદ માણી રહ્યા હતા. સમગ્ર વાતાવરણ માં જાણે કેસરિયો છવાઈ ગયો હતો. નગરના વિવિધ મંડળો જય જય શ્રી રામ ના નારા સાથે શોભાયાત્રાનું આકર્ષણ બન્યા હતા. શોભાયાત્રા નગરના ગોરા રામજી મંદિર થી નીકળી માણેક ચોક, કલબ રોડ થઇ , નવાપુરા વિસ્તાર માં ફરી પુરોહિત ફળીયા જૈન મંદિર ચોક ફરી રામજી મંદિરે પરત ફરી હતી. નગરના વિવિધ સામાજિક અને યુવા સંગઠનો દ્વારા આઈસ્ક્રીમ, છાસ તેમજ નાસ્તા ના સ્ટોલ લગાવી ભક્તોને ભોગ લગાવ્યો હતો. શ્રી રામ નવમી નિમિત્તે આયોજિત ભવ્ય શોભાયાત્રામાં નગરના અગ્રણીઓ સહીત મોટી સંખ્યામાં નગર તેમજ આસપાસ ના ગામડાઓમાંથી ભીડ ઉમટી પડી હતી.અને શ્રી રામજીનો જન્મોત્સવ ભારે ધૂમધામ થી મનાવવામાં આવ્યો હતો.