છોટાઉદેપુર, સકીલ બલોચ :-
વર્ચ્યુઅલ માધ્યમથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રેરક ઉદબોધનને નિહાળતા અધિકારીઓ, કર્મચારીઓ
જિલ્લાના વિવિધ વિભાગોની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવતા ઉચ્ચ અધિકારીઓ
દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન દિવંગત શ્રી અટલ બિહારી વાજપેઈની જન્મ જયંતી નિમિત્તે તેમની સ્મૃતિમાં દર વર્ષે ૨૫ ડિસેમ્બરના રોજ, “સુશાસન દિવસ” ની ઉજવણી કરવામાં આવે છે. આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા સેવાસદન ખાતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી ગંગાસિંહના અધ્યક્ષ સ્થાને “સુશાસન દિવસ” ની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે ગાંધીનગર ખાતે આયોજિત “સુશાસન દિવસ” ની રાજ્ય કક્ષાની ઉજવણી સંદર્ભે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના પ્રેરક ઉદબોધનને સભાખંડમાં ઉપસ્થિત ઉચ્ચ અધિકારીઓ, સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીઓએ વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળ્યું હતું.
આ વેળાએ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ગંગાસિંહે સંબંધિત વિભાગો દ્વારા સ્વચ્છતા અભિયાન ૨૦૨૩ ની ઉજવણી અંતર્ગત ઓફિસની સ્વચ્છતા જાળવવા બદલ, રેકોર્ડરૂમની જાળવણી, નિભાવની તેમજ સ્વચ્છતા ઝુંબેશમાં કરવામાં આવેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રશંસા કરી હતી. તેમણે વહિવટી તંત્રના વિવિધ વિભાગો દ્વારા GEM પોર્ટલ દ્વારા કરવામાં આવતી પારદર્શક ખરીદી વિશે પણ ચર્ચા કરી હતી. આ પ્રસંગે વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.