ચૂંટણી દરમિયાન અપવાદને બાદ કરતા પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય ચાર કરતા વધુ વ્યક્તિઓએ એકત્રિત થવું નહી,સભા,સરઘસ માટે પૂર્વ મંજૂરી મેળવવાની રહેશે

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

ક્રિમીનલ પ્રોસીજર કોડ ૧૯૭૩ ની કલમ-૧૪૪ હેઠળ પંચમહાલ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ દરમિયાન સમગ્ર પંચમહાલ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા મતદારો પોતાનો મત મુક્ત અને નિર્ભય રીતે આપી શકે તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માટે જરૂરી શાંતિમય વાતાવરણમાં વિક્ષેપો ઉભા થાય નહીં અને જાહેર સુલેહ શાંતિનો ભંગ થતો અટકાવવા અંગે સક્ષમ અધિકારી પાસેથી પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય ૪ (ચાર) કરતાં વધુ વ્યકિત એકત્રીત થવું નહી અને સભા સરઘસો નહી કાઢવા બાબતે નિયંત્રણ કરવું યોગ્ય જણાય છે. જેથી ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ (૧૯૭૪ નો ૨-જો અધિનિયમ) ની કલમ-૧૪૪ મુજબના પગલાં લેવા જરૂરી જણાય છે.

અધિક જિલ્લા  મેજિસ્ટ્રેટ,પંચમહાલ-ગોધરા, ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ (૧૯૭૪ નો ૨-જો અધિનિયમ)ની કલમ-૧૪૪ થી મળેલ સત્તાની રૂએ જણાવે છે કે,પંચમહાલ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં આ હુકમની તારીખથી ચુંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી એટલે કે તા.૦૬/૦૬/૨૦૨૪ સુધીની મુદત માટે અધિકૃત અને સક્ષમ અધિકારી પાસેથી પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય ચાર કરતાં વધુ વ્યક્તિઓએ એકત્રિત થવું નહી અથવા કોઇ સભા ભરવી નહી કે કોઈ સરઘસ કાઢવું નહી. સભા સરઘસની મંજુરી આપવા માટે સક્ષમ અધિકારી તરીકે સંબંધિત વિધાનસભા મતદાર વિભાગના ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારીને અધિકૃત કરવામાં આવેલ છે.

વધુમાં આદેશ કરાયો છે કે, આ હુકમ નીચેનાને લાગુ પડશે નહીં.
અપવાદ:-
(૧) ફરજ ઉપર હોય તેવી ગૃહ રક્ષક દળની વ્યક્તિને,
(૨) કોઈ લગ્નના વરઘોડાને,
(૩) સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યક્તિને,
(૪) કોઈ સ્મશાન યાત્રાને,

આ હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરનાર ભારતના ફોજદારી અધિનિયમ-૧૮૬૦ની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.
આ હુકમ અન્વયે પંચમહાલ જિલ્લામાં ફરજ બજાવતાં પોલીસ કોન્સ્ટેબલ કે તેથી ઉપલા દરજ્જાના તમામ પોલીસ અધિકારીશ્રીઓને આ જાહેરનામાના ભંગ કરનાર સાથે ઈ.પી.કો. કલમ-૧૮૮ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here