ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-
આજરોજ બોડેલી મુકામે ખત્રી પંચની વાડી ખાતે પત્રકાર ફકીર મોંહમ્મદ ખત્રી ડભોઇવાળાના અધ્યક્ષ સ્થાને જ્ઞાતિની સામાન્ય બેઠક મળી હતી. આયોજિત બેઠકમાં ખત્રી અબ્દુલકાદિર ઠાકોર, ખત્રી ફઝલભાઇ દાદાવાલા, ખત્રી સાજીદભાઇ સજવાવાલા, ખત્રી ફિરોઝભાઇ ફોરેસ્ટર, ડો.ઉસ્માનગની ખત્રી, ખત્રી રહિમભાઇ ભાયજીવાલા, ડો.હનિફભાઇ ખત્રી, ખત્રી મુબારક કલારાણીવાલા તેમજ વિવિધ ગામોએથી આવેલ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં વિવિધ વક્તાઓએ પોતાના મંતવ્યો રજુ કર્યા હતા. આ પ્રસંગે સ્ટેજ ઉપર બિરાજમાન અગ્રણીઓએ બેઠકના આયોજનનો હેતુ વર્ણવીને ખત્રી જમાતના આગામી સમુહ લગ્નની તારીખ સર્વાનુમતે નક્કી કરવા સહુને અનુરોધ કર્યો હતો. બેઠકમાં ચર્ચાવિચારણાને અંતે આગામી મે ૨૦૨૩ માં સમુહ લગ્ન યોજવાનું સર્વાનુમતે જાહેર કરવામાં આવ્યું હતું. સમુહ લગ્નની કામગીરીના વહિવટ માટે ખત્રી અબ્દુલકાદિર ઠાકોરની આગેવાની હેઠળ દસ સભ્યોની કમિટી બનાવવામાં આવી હતી. આગામી મે મહિનામાં કઇ તારીખે સમુહ લગ્ન રાખવું તે આ દસ સભ્યોની કમિટી હવે પછી નક્કી કરશે, એમ જાહેર કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે સમુહ લગ્નની પરંપરા મોટાભાગે દરેક જ્ઞાતિઓમાં વર્ષોથી ચાલી આવતી હોય છે. સામાન્ય રીતે સમુહ લગ્નનો મુળ હેતુ સમાજમાં સહકારી ભાવના પ્રબળ બને, આખો સમાજ એક મંચ હેઠળ એકત્ર થાય તે હોય છે. તેથી સમુહ લગ્નના પ્રસંગ આવકારદાયક ગણાય છે.