કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા
કાલોલ તાલુકાના દેલોલ ગામની ૪૭ વર્ષિય આશાવર્કર મહિલા કોરોના સંક્રમણનો ભોગ બનતા દેલોલ ગામમાં પહેલો પોઝીટીવ કેસ પ્રકાશમાં આવતા દેલોલમાં ફફડાટ ફેલાયો હતો. કાલોલ તાલુકાના દેલોલ સ્થિત ભટ્ટવાળા ફળિયામાં રહેતા અને આશાવર્કર તરીકે કામ કરતા રાજશ્રીબેન ભટ્ટ (ઉ. વર્ષ. ૪૭) જેઓ ગત સપ્તાહે તેમના કોઈ સબંધીના લગ્ન પ્રસંગે ગયા હતા. એ લગ્ન પ્રસંગ દરમ્યાન તાજેતરમાં ૧ લી જુન રોજ હાલોલ સ્થિત કોરોના પોઝીટીવ બનેલા તેમના પારિવારિક સંબંધી એવા નમ્રતાબેન ભટ્ટ સાથે પુરા લગ્ન પ્રસંગે સંપર્કમાં રહ્યા હતા. જેથી કોરોના પોઝીટીવ સબંધીના સંપર્કમાં આવ્યા હોવાને પગલે ૩જી જુલાઈએ આરોગ્ય વિભાગ દ્વારા રાજશ્રીબેનને દેલોલ ખાતે હોમ કવેરોન્ટાઈન પણ કરવામાં હતા. જે હોમ કવેરોન્ટાઈન દરમિયાન શુક્રવારે તેમને બીપીની અસર હેઠળ કોરોના સેમ્પલ લેતા શનિવારે રાત્રે આ રાજશ્રીબેનનો રિપોર્ટ પણ કોરોના પોઝીટીવ હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. જે પોઝીટીવ રિપોર્ટને પગલે આરોગ્ય તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી રાત્રીના સુમારે જ અસરગ્રસ્ત મહિલાને ગોધરા સ્થિત કોરોના હોસ્પિટલમાં ખસેડી કોરોના સારવાર શરૂ કરી દેવામાં આવી હતી. આમ દેલોલમાં કોરોના સંક્રમણનો પહેલો કેસ પ્રકાશમાં આવતા ભટ્ટફળિયામાં તેમના સંપર્કમાં આવેલા રહીશોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે એકાદ બે દિવસના અંતરે કાલોલમાં કાચબાની ગતિએ પગ પસારો કરતા કોરોના વાયરસના સંક્રમણથી તાલુકામાં ૨૧મો પોઝીટીવ કેસ નોંધાયો હતો. જે પૈકી ૨ મોત અને ૧૩ દર્દીઓ રિકવર બની ઘેર પરત અને હાલમાં ૬ કેસો કોરોના સારવાર હેઠળ હોવાનું તંત્રએ જણાવ્યું હતું.