સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-
સિધ્ધપુરના જૂના ગંજ બજાર સ્થિત કમલ ટ્રેડિંગ કંપની નામની ખાદ્યતેલ અને અનાજની હોલસેલની દુકાનમાંથી રાણી તેલના ૨૬ મોટા ડબ્બા,૬ પાંચ લિટરના નાના કાર્ટૂન સહિત ગલ્લામાં પડેલા ૧૫ હજાર રોકડની ચોરી થતાં ચકચાર મચી જવા પામી છે.આ ચોરીની ઘટના અંગે દુકાન માલિકે સિદ્ધપુર પોલીસ મથકે ફરિયાદ કરી હોવાનું જાણવા મળેલ છે.શહેરના જુના ગંજબજાર જેવા ભરચક વિસ્તારમાં આવેલી દુકાનમાંથી ચોરી થયાની ઘટનાને લઈને પોલીસની રાત્રી પેટ્રોલિંગ કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.સિદ્ધપુર ના જુના ગંજબજારમાં છેલ્લા દસ-બાર વર્ષથી ઠક્કર ભરતલાલ શંકરલાલ ખાદ્યતેલ સહિત અનાજની હોલસેલની દુકાન ધરાવે છે.તેઓની દુકાનમાંથી કોઈ અજાણ્યા ઈસમોએ ગત રાત્રીના સમયે શટરના લોક તોડી દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાં પડેલા રાણી તેલ ના ૨૬ મોટા ડબ્બા તેમજ ૬ પાંચ લિટરના નાના કાર્ટૂન સહિત ગલ્લામાં રહેલી ૧૫ હજાર રોકડ રકમની ચોરી કરી પલાયન થઈ ગયા હતા.આ ચોરીનો કિસ્સો વહેલી સવારથી જ શહેર માં ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો.આ ચોરીની ઘટનાને લઈને પોલીસનાં રાત્રી પેટ્રોલિંગ સહિત અહીં નજીકના પોઈન્ટ પર રાત્રી ફરજ બજાવતા કર્મીઓની કામગીરી સામે અનેક સવાલો પેદા થઈ રહ્યા છે. શહેરમાં એકતરફ દારૂ-જુગારની બદી સહિત નશીલા પદાર્થોના વેચાણે માઝા મૂકી છે ત્યારે બીજી તરફ તસ્કર ટોળકી પણ સક્રિય બની રહી હોવાથી પોલીસની કામગીરી સામે અનેક સવાલો થઈ રહ્યા છે.સિદ્ધપુર શહેરમાં અસામાજિક તત્વો પોલીસ ને જાણે ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોય એવું પ્રતિત થઈ રહ્યું છે.