ભૂખ્યા ને ભોજન, ઉઘાડા પગે ફરતા લોકોને ચપ્પલ, કપડાં, ધાબળા સહિતની જરૂરી વસ્તુઓ પુરી પાડતા અન્નપૂર્ણા મંડળના સેવાભાવી સદસયો
રાજપીપળા , નર્મદા
આશિક પઠાણ
રાજપીપળા શહેરમાં ગમે તે સિઝનમાં ગમે તેવી આફત વચ્ચે પણ ભિક્ષુકો સહિતના લોકો માટે મસીહા બની પહોંચી જતા અન્નપૂર્ણા મંડળના કાર્યકરો છેલ્લા ત્રણ વર્ષથી જરૂરિયાતમંદો માટે અડીખમ ઉભા રહી સેવાકાર્ય કરતા આવ્યા છે, જેમાં દર ગુરુવારે શહેરમાં ફરતા ભિક્ષુકો સહિતના લોકોને ખૂણે ખૂણેથી શોધી કાઢી જરૂરિયાત મુજબ ભોજન,ચપ્પલ, કપડાં, ગરમ વસ્ત્રો સહિતની ચીજવસ્તુઓ પહોંચાડે છે. આ સેવા આજે પણ અવિરત પણે ચાલી રહી હોય દર ગુરુવારે આ સેવાકાર્યમાં ખડે પગે રહેતા કલ્પેશભાઈ મહાજન, બિપિનભાઈ વ્યાસ, નમિતાબેન મકવાણા, કમલેશભાઈ ચૌહાણ, રાકેશભાઈ પંચોલી, કલ્પેશભાઈ ચૌહાણ, અંકુરભાઈ ઋષિ જેવા વ્યક્તિઓએ આ કાર્યને જાણે પોતાની આદત બનાવી દીધી હોય.
રાજપીપળા શહેરમાં ફરતા કે રહેતા જરૂરિયાતમંદ માટે આ લોકોની સેવા કાબિલે તારીફ કહી શકાય તેવી છે.
અગત્યની બાબત એ છે કે આ અન્નપૂર્ણા મંડળના સભ્યો તેમના સેવાકાર્ય માટે કોઈ પાસે દાન પેટે પૈસા નથી ઉઘરાવતા પરંતુ તેમનું આ સેવાકાર્ય જોઈ જ દાનવીરો આ મંડળને જરૂરી વસ્તુઓ આપે છે એ તમામ વસ્તુઓ આ મંડળ જરૂરિયાતમંદ લોકો સુધી પોતાના વાહનો મારફતે પહોંચાડે છે ત્યારે નિસ્વાર્થ ભાવે જરૂરિયાતમંદો માટેની સેવા કરતા આ મંડળને હાલ ઘણા દાનવીરો થકી વસ્તુઓ મળી રહી છે.