નર્મદા જીલ્લાના દેડીયાપાડા ખાતે તા 26 મીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં વનબંધુઓને વાંસનું વિનામૂલ્યે વિતરણ કરાશે

ડેડીયાપાડા,(નર્મદા) આશિક પઠાણ :-

વાંસ આધારિત કૌશલ્યવર્ધન કેન્દ્રો (રૂરલ મોલ) ના લોકાર્પણનો યોજાનારો કાર્યક્રમ

કાર્યક્રમના આયોજનની પૂર્વ તૈયારીઓ અંગે જિલ્લા વિકાસ અધિકારી અને ઇન્ચાર્જ જિલ્લા કલેકટર અંકિત પન્નુએ દેડીયાપાડા ખાતે યોજેલી સમીક્ષા બેઠકમાં અમલીકરણ અધિકારી ઓને અપાયું માર્ગદર્શન

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં તા.૨૬ મી મે,૨૦૨૨ ને ગુરૂવારના રોજ નર્મદા જિલ્લાના આદિવાસી અને અંતરિયાળ વિસ્તાર દેડીયાપાડા તાલુકા મથકે વનબંધુઓને વાંસનું વિનામૂલ્યે વિતરણ અને વાંસ આધારિત કૌશલ્યવર્ધન કેન્દ્રો (રૂરલ મોલ) ના યોજાનારા લોકાર્પણ કાર્યક્રમના આયોજન સંદર્ભે જિલ્લા પ્રશાસન દ્વારા હાથ ધરાયેલી પૂર્વ તૈયારીઓની ગઇકાલે જિલ્લા વિકાસ અધિકારી અને ઇન્ચાર્જ જિલ્લા કલેકટર અંકિત પન્નુના અધ્યક્ષપદે દેડીયાપાડા આદર્શ નિવાસી શાળા ખાતે યોજાયેલી સમીક્ષા બેઠકમાં અંકિત પન્નુએ ઉક્ત કાર્યક્રમ સંદર્ભે જુદા જુદા વિભાગો ધ્વારા હાથ ધરાયેલી કામગીરીની વિસ્તૃત સમીક્ષા સાથે જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.
નિવાસી અધિક કલેક્ટર એચ.કે.વ્યાસ, નાયબ વન સંરક્ષક નિરજકુમાર, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક એચ.પી.મોદી અને સુશ્રી વાણી દૂધાત, પ્રાયોજના વહિવટદાર બી.કે. પટેલ, દેડીયાપાડાના પ્રાંત અધિકારી આનંદ ઉકાની, રાજપીપલાના પ્રાંત અધિકારી હિતેશ પટેલ, તાલુકા મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ સહિત વિવિધ વિભાગના સંબંધિત અમલીકરણ અધિકારીઓ અને વિવિધ સમિતિઓ સાથે સંકળાયેલા અધિકારી ઓ-કર્મચારી ઓની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં ઇન્ચાર્જ જિલ્લા કલેકટર અંકિત પન્નુએ સંબંધિત સમિતિઓને સોંપાયેલી કામગીરી અને ફરજ સુપેરે પાર પડે તે માટે પૂરતી કાળજી અને ચોકસાઇ રાખવા ખાસ અનુરોધ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઇન્ચાર્જ જિલ્લા કલેકટર અંકિત પન્નુના માર્ગદર્શન અને રાહબરી હેઠળ મુખ્યમંત્રી ના કાર્યક્રમના સુચારુ આયોજનના ભાગરૂપે વિવિધ ૨૪ જેટલી સમિતીઓની રચના કરવામાં આવી છે અને આ સમિતિઓમાં સમાવિષ્ટ વિવિધ અધિકારીઓ કર્મચારીઓને એકબીજા વચ્ચે સુસંકલન સાધીને તેમને સોંપયેલી કામગીરી વધુ સઘન અને અસરકારક રીતે પરિપૂર્ણ થાય તે જોવાની પણ તેમને ખાસ સૂચના આપી હતી. ઇન્ચાર્જ જિલ્લા કલેકટર અંકિત પન્નુએ દેડીયાપાડા ખાતે મુખ્યમંત્રીશ્રીના ઉક્ત કાર્યક્રમના આયોજન સંદર્ભે કાર્યક્રમના સ્થળે થઇ રહેલી પૂર્વ તૈયારીઓ અને વાંસ આધારિત કૌશલ્યવર્ધન કેન્દ્રના સ્થળની પણ રૂબરૂ મુલાકાત લઇ, થઇ રહેલી કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન જિલ્લા પ્રશાસનના અન્ય વરિષ્ઠ અધિકારી ઓ પણ તેમની સાથે જોડાયાં હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here