બાગાયતી સહાય યોજનાઓના લાભ આપવા આઈ-ખેડૂત પોર્ટલની સેવાઓ પુનઃ શરૂ કરાઈ

વિનામૂલ્યે છત્રી, શેડ-કવર માટે અરજી કરવાની સમયમર્યાદામાં વધારો કરાયો, ૧૫મી સપ્ટેમ્બર સુધી અરજી કરી શકાશે

ગોધરા(પંચમહાલ),

પંચમહાલ જિલ્લાના ખેડૂતો માટે વર્ષ ૨૦૨૦-૨૧ અંતર્ગત બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓ માટે અરજી કરવા આઈ-ખેડૂત પોર્ટલની સેવાઓ પુનઃ શરૂ કરવામાં આવી છે. હવે તા. ૧૫/૦૯/૨૦૨૦ સુધી ખેડૂત મિત્રો આ સહાય યોજનાઓ માટે ઓનલાઈન અરજી કરી શકશે. જેમાં ટપક પદ્ધતિ માટે પાણીના ટાંકા, અર્ધ પાકા મંડપ, કાચા મંડપ, ઘનિષ્ઠ ખેતીથી વાવેલા ફળો જેવા કે આંબા, જામફળ, દાડમ, લીંબુ માટે હાઈબ્રીડ બિયારણ, મસાલા પાક, પ્લાસ્ટિક મલ્ચિંગ, ટ્રેક્ટર (૨૦ પીટીઓ એચપી સુધી), કેળ ટિશ્યુ, પપૈયા, વોટર સોલ્યુબલ ખાતર, સ્વંય સંચાલિત બાગાયત મશીનરી, બાગાયત પેદાશની પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત પેકિંગ મટીરીયલ્સમાં સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી કરી શકાશે. આ ઉપરાંત, ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા માટે નાના વેચાણકારોને વિના મૂલ્યે છત્રી-શેડ કવર પૂરા પાડવા માટે અરજી કરવાની સમય મર્યાદામાં વધારો કરી તા. ૧૫/૦૯/૨૦૨૦ સુધી વધારવામાં આવી છે. આ યોજના સહિત અન્ય ઘટકોમાં સહાય મેળવવા ઈચ્છતા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તથા અન્ય જાતિના ખેડૂતોએ ગ્રામ પંચાયત ખાતેના ઈ-ગ્રામ સેન્ટર પર વી.સી.ઈ. મારફતે અથવા ઈન્ટરનેટના માધ્યમથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કર્યા બાદ અરજીની નકલ, ૮-અ, ૭/૧૨, જાતિની દાખલો, આધારકાર્ડ તથા આધારલિન્ક્ડ પાસબુકની નકલ દિન-૭માં ગોધરા ખાતેના જિલ્લા સેવા સદન-૦૨ ખાતે આવેલ નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરીએ પહોંચાડવાની રહેશે. વધુ વિગત માટે ફોન નંબર- ૦૨૬૭૨- ૨૪૦૦૩૯ પર સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામકની અખબારી યાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here