કેવડિયા કોલોની,(નર્મદા) આશિક પઠાણ :-
અસહ્ય ગરમી ઉકાળાટ વચ્ચે જરૂરીયાત મુજબ AC,કુલર અને પંખા મૂકીને પ્રાણી-પક્ષી માટે સાનુકૂળ વાતાવરણ ઊભું કરાયું
સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને સંલગ્ન પ્રવાસીય પ્રોજેકટ પ્રવાસીઓની પહેલી પસંદ બની ચૂકયું છે આજે દેશ-વિદેશમાં તેની સકારાત્મક નોંધ પણ લેવાઈ રહી છે. અત્રે પ્રવાસીઓ માટે આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓ ઉપલબ્ધ છે.માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ મોદી ની પરીકલ્પના સમાન સરદાર પટેલ ઝૂલોજીકલ પાર્ક(જંગલ સફારી) કે જે ૩૭૫ એકરમાં ફેલાયેલ છે જેમાં દેશ-વિદેશનાં ૧૧૦૦ થી વધુ પ્રાણી-પક્ષીઓનો સમાવેશ થયેલ છે ત્યાં હાલ ઉનાળાની ઋતુને ધ્યાને લઈને જરૂરીયાત મુજબ ઠંડક રહે અને સાનુકૂળ વાતાવરણ ઉપલબ્ધ થાય તે માટે AC,કુલર અને પંખા મૂકવામાં આવ્યા છે.
કેવડીયા જંગલ સફારીમાં પહેલાથી જ પ્રાણી-પક્ષીઓને ખુલ્લુ કુદરતી વાતાવરણ મળી રહે તે રીતે મોકળાશ અપાઈ છે અને ખાસ કરીને ભારતની બદલાતા રહેતા વાતાવરણને ધ્યાને લઈને એક્શન પ્લાન મુજબ શિયાળા,ઉનાળા અને ચોમાસા દરમ્યાન પ્રાણીઓની સવિશેષ કાળજી રાખવામાં આવી રહી છે. આ માટે સમર્પિત તબીબો તેમજ બાયોલોજીસ્ટ સહીતની ટીમ ૨૪ કલાકમાં ત્રણ-ત્રણ વાર દેખરેખ કરી રહ્યા છે. સાથે સાથે રાઉન્ડ ધી ક્લોક કામ કરતાં ૬૭ જેટલા તાલીમબધ્ધ એનિમલ કિપર પણ હંમેશા નિરીક્ષણ કરતા રહે છે.
બદલાતી જતી ઋતુ પ્રમાણે પ્રત્યેક પ્રાણી-પક્ષીઓ માટે જે ડાયેટ પ્લાન નક્કી કરાયેલ છે તે મુજબ જ નિષ્ણાંતની દેખરેખમાં પ્રતિદિન ખોરાક અપાઈ રહ્યો છે.હાલ તમામ પ્રાણી-પક્ષી સ્વસ્થ છે અને મુક્તમને વિહાર કરી રહ્યા છે.