સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-
રોડની બન્ને બાજુએ લારીઓવાળા,ફ્રુટના ટેન્ટ વાળાઓ સહિત ખાનગી વાહનો દિવસભર ખડકાયેલા રહેતા હોવાથી અવારનવાર ટ્રાફિક ની જટિલ સમસ્યા સર્જાતી હોય છે.!! રોડ પર ઊડતી રેતની ડમરીઓથી લોકોનું સ્વાસ્થ્ય જોખમાઈ રહ્યું છે
સિદ્ધપુર ના આઈઓસી (તાવડિયા) ચારરસ્તાથી એપીએમસી, બસસ્ટેશન થઈ રેલ્વૅ અંડર બ્રિજ સુધી નાં ખખડધજ અને ઉબડ-ખાબડ રસ્તાથી વાહન ચાલકો સહિત રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા છે.આ રસ્તાને આશરે ૭૦ ફૂટ જેટલો પહોળો કરી તેનું નવીનીકરણ કરવા માટે વચ્ચે આવતા નડતરરૂપ વર્ષો જુના ૧૦ જેટલા મકાનો તેમજ ૩૦ જેટલી દુકાનો ના દબાણો પાલિકા તંત્ર દ્વારા થોડાક જ સમય અગાઉ જ દૂર કરવામાં આવ્યા હતા.ત્યારબાદ આ માર્ગ ના મધ્યમાં સ્ટ્રીટ લાઈટ નાખવાની કામગીરી ના ભાગરૂપે ખોદકામ કરી અંડરગ્રાઉન્ડ વીજવાયરો નાંખી પોલ ઉભા કરવા સિમેન્ટકોન્ક્રીટ નાં ચેમ્બરો બનાવાયા છે.જો કે આ કામગીરી કર્યા બાદ વાહન ચાલકોને પ્રવર્તમાન સમયે અનેક હાડમારીઓ સહન કરવી પડી રહી છે.આ રસ્તાનું નવીનીકરણ કરવાનું કામ મંથરગતિએ ચાલતું હોવાથી વાહનચાલકો સહિત રાહદારીઓને પ્રવર્તમાન સમયે પારાવાર હાડમારીઓ વેઠવાનો વારો આવ્યો છે.આ ઉપરાંત વહેલી સવારે શાકભાજી માર્કેટ આગળ શાકભાજી લે-વેચ કરવા આવતા ખેડૂતો અને વેપારીઓ દ્વારા પોતાના વાહનો જાહેર રસ્તા ઉપર જ આડેધડ પાર્કિગ કરી દેવાતા હોઈ અસંખ્યવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોય છે. ટ્રાફિકજામ ના વિકટ સમયે પોલીસ કે એપીએમસીના સિક્યુરિટી ગાર્ડ પણ જોવા મળતા હોતા નથી.! આથી વાહનોની લાંબી કતારો લાગી જવા પામતી હોય છે.પ્રવર્તમાન સમયે આ રોડ ઉપર મસમોટા ખાડાઓ અને ઉખડેલી કપચી,મેટલ અને રેત-માટીની ઊડતી ડમરીઓને કારણે લોકોનું સ્વાસ્થ્ય પણ જોખમાઈ રહ્યું છે.ડિસ્કોડાંસિંગ જેવા બની ગયેલા આ રોડ ઉપર વાહનચાલકો,રાહદારીઓને પસાર થવું માથાના દુઃખાવા સમાન બની જવા પામ્યું છે. આ રસ્તાની બન્ને સાઈડો ઉપર દિવસભર બિન્દાસ ઉભા રહેતા લારીઓવાળા, ફૂટના ટેન્ટ વાળાઓ તેમજ આડેધડ પાર્ક કરાતા વાહનો થકી સાંકડા બની ગયેલા રસ્તા ના કારણે નાના-મોટા વાહનચાલકો, રાહદારીઓને આ રસ્તો પસાર કરતા અભિમન્યુ ના સાત કોઠા પાર કરતા વેઠવી પડતી તકલીફો જેવી જ લાગણીનો અનુભવ થતો હોય છે.આમ છતાંય પોલીસ અને નગરપાલિકા તંત્ર મુકપ્રેક્ષક બની તમાશો જોઈ રહ્યું હોય એવું પ્રતિત થઈ રહ્યું છે.આથી પાલિકા અને પોલીસતંત્ર દ્વારા સહિયારી ટ્રાફિક ડ્રાઈવ યોજી આ રસ્તાની બન્ને બાજુના દબાણો કાયમી ધોરણે હટાવાય તેમજ દિવસભર આડેધડ પાર્ક કરાતા વાહનો સામે પોલીસતંત્ર લાલ આંખ કરે તે જરૂરી છે.તદઉપરાંત પાલિકાતંત્ર દ્વારા આ રસ્તા નું નવીનીકરણ કાર્ય ઝડપ થી પૂર્ણ કરી વાહનચાલકો, રાહદારીઓ સહિત નગર-જનો માટે આ રસ્તાને ખરા અર્થમાં લોકભોગ્ય બનાવે તે ઈચ્છનીય છે.