સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-
સિદ્ધપુર પવિત્ર માતૃગયા મોક્ષધામ (શ્રીસ્થળ) સિધ્ધપુરમાં છેલ્લાં ૧૨૫ વર્ષથી ઐતિહાસીક કૃષ્ણ મંદિરોમાં સર્વ પિતૃઓના મોક્ષાર્થે પિતૃમાસ એવા કારતક,ચૈત્ર અને ભાદરવા માસ દરમિયાન શ્રીમદ્દ ભાગવત કથા યોજાય છે.ચાલુ પિતૃ માસ ભાદરવાના સુદ આઠમ થી પૂનમ સુધી સર્વ પિતૃઓના મોક્ષાર્થે પ્રતિ વાર્ષિક શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવેલ છે.ભાગવત શાસ્ત્રના પ્રથમ વક્તા શિવાંશ શ્રી સુખદેવજી મહારાજ એ પરીક્ષિત મહારાજને કથા સંભળાવી તેમના તમામ સંસયો દૂર કરી અભય દાન આપી મોક્ષના માર્ગે પ્રયાણ કરાયેલું.તેની યાદમાં સિદ્ધપુરના વિદ્વાન પુરાણી શાસ્ત્રીઓ દ્વારા શહેરના ઐતિહાસીક શ્રીક્રુષ્ણ મંદિરોની કમિટીઓના સહયોગ થી શ્રીમદ્ ભાગવત કથાની ૧૨૫ વર્ષ અગાઉ શરૂ કરેલી આ ધાર્મિક પ્રથાને આજદિન સુધી અકબંધ જાળવી રાખી છે.શહેરના પંચ પુરાણી તરીકે જયદત્ત ભાઈ શાસ્ત્રી,દેવશંકર શાસ્ત્રી,નટવરલાલ શુક્લા, મૂળશંકર શાસ્ત્રી,ગોવિંદ લાલ શાસ્ત્રી જેવાઓ દ્વારા આ શ્રીમદ્ ભાગવત કથા વક્તાની પરંપરા સચવાયેલી હતી.ત્યારબાદ કાળક્રમે પ્રેમવલ્લભ શાસ્ત્રી,સીતારામ શાસ્ત્રી, નરોત્તમ શાસ્ત્રી જેવા બ્રહ્મ બંધુઓ દ્વારા શ્રી ક્રુષ્ણ મંદિરોમાં આ પરંપરા મુજબ શ્રીમદ્દ ભાગવત કરવામાં આવતી હતી. અગાઉના સમયે પ્રાચીન શ્રી કૃષ્ણમંદિરો પૈકી શ્રી ગોવિંદ માધવ રાયજી,શ્રી રાધાકૃષ્ણ,શ્રી રણછોડ રાય,શ્રી ગોપીનાથજી,શ્રી નીલકંઠ મહાદેવ સહિત શ્રી રામજી મંદિર,શ્રી લાલજી મંદિર,શ્રી બાલાજી મંદિર, શ્રી લક્ષ્મીનારાયણ જેવા મંદિરો માં પરંપરાગત રીતે આ શ્રીમદ્દ ભાગવત કથાનું આયોજન કરવામાં આવતું હતું.આ અનોખી પરંપરાને પ્રવર્તમાન સમયે ચાલુ રાખનાર ભાગવત કથાના પ્રવક્તા શ્રીકાંત ભાઈ દવે શ્રી રાધાકૃષ્ણ મંદિર માં પ્રતિવાર્ષિક ભાગવત કથાનું રસપાન અત્યારે કરાવી રહ્યા છે.જેનો ભાવિકો કોરોના એસઓપી ના અમલ સાથે લાભ લઇ રહ્યા છે.આ કથા આગામી ભાદરવા સુદ પૂનમ ને સોમવાર તા.૨૦ મી ના રોજ વિરામ લેશે.ધાર્મિક ઈતિહાસ મુજબ પરીક્ષિત રાજાએ સમાધિમાં બેઠેલા શનક ઋષિના ગળામાં મરેલો સર્પ નાખી અપમાન કરતાં તેમના પુત્ર શૃંગી ઋષિએ તેમને શ્રાપ આપ્યો આ કૃત્ય કરનારનું આજથી સાતમે દિવસે તક્ષક નાગ ના કરડવાથી મૃત્યુ થશે.આ વાતની જાણ રાજાને થતા તમામ રાજ પાટનો ત્યાગ કરી ગંગાકિનારે જઈ અન્ન જળનો ત્યાગ કરી જેનું મૃત્યુ નજીક છે તેવા જીવાત્માં મોક્ષ માટે શું કરવું તેવો પ્રશ્ન ઋષિમુનિ ઓને પૂછેલું તેમને પુરતો જવાબ ન મળતા શ્રી ભગવાનના આદેશ દ્વારા પૂજ્ય શ્રી સુખદેવ મુનિ પરીક્ષિત રાજા સમક્ષ પધારી તેને અનુગ્રહિત કરેલ અને તેમના તમામ પ્રશ્નોનું નિરાકરણ શ્રીમદ ભાગવત કથા દ્વારા પૂર્ણ શ્રદ્ધા ભાવતી શ્રી કૃષ્ણમાં તન્મય થતાં મોક્ષ પામેલા તે દિવસો હતા ભાદરવા સુદ આઠમ થી ભાદરવા સુદ પૂનમ ભાદરવા સુદ પૂનમે પરીક્ષિત રાજા સ્વધામ ગમન કરી મોક્ષ પામેલા તેમની યાદમાં વિદ્વાન પંડિત વક્તાઓ દ્વારા આ પરંપરા મુજબ શ્રી ગોવિંદ માધવ મંદિર માં પુજ્ય મૂળશંકર શાસ્ત્રીજી,શ્રી રાધાકૃષ્ણ મંદિર માં મણિશંકર શાસ્ત્રી,શ્રી રણછોડરાયજી મંદિરમાં ગોવિદલાલ શાસ્ત્રી,શ્રી નીલકંઠ મહાદેવ માં નટવરલાલ શુક્લાજી અને અન્ય મંદિરો માં નિયત વિદ્વાન શાસ્ત્રીજીઓ દ્વારા ભૂતકાળમાં ભાગવત કરવામાં આવતી હતી. જેમાં આ પરંપરા અન્વયે કરાતી શ્રીમદ્ ભાગવત કથા ના વક્તાઓ દ્વારા આગવી શૈલી અને મધુર વાણી દ્વારા શ્રોતાઓને દિવ્યજ્ઞાન સાથે ભક્તિરસ પીરસવામાં આવતું હતું.પિતૃમાસ માં પિતૃઓના મોક્ષ માટે વિવિધ પૂજા,પિંડદાન, તર્પણ, કથા-કીર્તન કરવામાં આવે છે.ગોકર્ણ મહારાજ ને પોતાના ભાઈ ધંધુકારી ના મોત બાદ તેમનો આત્મા પ્રેતયોની માં ભટકતો હતો આથી તેઓએ ગયાજીમાં જઈને શ્રાદ્ધ વિધિ કરાવેલ આમછતાં મોક્ષગતિ પ્રાપ્ત ના થતા ગોકર્ણજીએ શ્રી સૂર્યનારાયણ ભાગવાન ની આરાધના કરી આ અંગે પૂછતાં ભગવાન સૂર્ય નારાયણ ભગવાને આકાશવાણી દ્વારા જણાવેલ કે જે જીવાત્માની શ્રાદ્ધવિધિથી પણ મુક્તિ થઈ ના હોય તો શ્રીમદ ભાગવત કથા દ્વારા આવા જીવાત્માની અવશ્ય મુક્તિ થાય છે.જેનો ઉલ્લેખ શ્રીમદ્દ ભાગવત મહાત્મય પણ કરાયેલો છે. આથી સર્વ પિતૃઓના મોક્ષાર્થે આ મોક્ષ નગરીમાં આ શ્રીમદ્દ ભાગવત કથાની અનોખી ધાર્મિક પરંપરા જળવાઈ રહી છે.