ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-
ગુજરાતના શિક્ષણમંત્રીશ્રી કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને ગોધરા બી.આર.જી.એફ ભવન ખાતે પંચમહાલ અને મહિસાગર જિલ્લાના અંદાજે ૬૦ જેટલા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજાયો હતો.કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય,ગણેશ વંદના અને પ્રાર્થના થકી કરાઈ હતી.
આ પ્રસંગે શિક્ષણમંત્રીશ્રીએ પોતાના ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે,આજે રાજ્યમાં પંચમહાલ અને મહિસાગર જિલ્લાના વિદ્યાર્થીઓ રેન્કમા આવીને પોતાની પ્રતિભાશાળી કારકિર્દી બનાવી રહ્યા છે.જ્યારે કોઈ વિદ્યાર્થી ભણવામાં તેજસ્વી હોય અને રેન્કમાં આવે ત્યારે તેનું સન્માન અવશ્ય થવું જોઈએ.આ તકે શિક્ષણમંત્રીશ્રી અને ઉપસ્થિત વિવિધ મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અને મેડલ આપીને સન્માનિત કરાયા હતા.
કાર્યક્રમમાં ઉપસ્થિત ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરશ્રી પ્રતાપસિંહ ચૌહાણે જણાવ્યું કે,આજના વાલીઓને બાળકની પ્રતિભાને ઓળખવાની જરૂર છે.ચારિત્ર્ય નિર્માણ થી દેશ નિર્માણ તરફ વિદ્યાર્થીઓને આગળ લઇ જવા સૌકોઈની જવાબદારી બને છે.સન્માન એ માનસ પટલ પર અસર કરતી ઘટના છે.
કાર્યક્રમમાં પંચમહાલ અને મહિસાગર જિલ્લાના ધોરણ ૧૦,૧૨ અને નીટની પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓ,વાલીઓ,નિવાસી અધિક જિલ્લા કલેકટરશ્રી એમ.ડી.ચુડાસમા,પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી,વાઇબ્રન્ટ વેવ એકેડમીનાશ્રી અનિલ પંડ્યા,દિવ્ય ભાસ્કર રિઝનલ હેડશ્રી સમીરભાઈ જાની,શ્રી હેતલ મોદી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.