શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-
પંચમહાલ જિલ્લાના શહેરા નગરપાલિકા વિસ્તારમાંથી પસાર થતાં હાલોલ-શામળાજી હાઇવે માર્ગ પર આવેલ વાઘજીપુર ચોકડી ચાર રસ્તા પર સર્કલ ન હોવાથી અહીંથી પસાર થતાં વાહન ચાલકોને રોડ ક્રોસ કરતી વેળાએ અકસ્માતનો ભય સતાવતો હોય છે, જોકે અહીં સર્કલના અભાવે અગાઉ પણ કેટલાક અકસ્માતના બનાવો બની ચુક્યા છે,જેમાં કેટલાક લોકો મોતને પણ ભેટી ચૂક્યા છે.ત્યારે આ તમામ બાબતોને ધ્યાને લઇ અકસ્માતના બનાવો બનતા અટકે તે માટે શહેરાના ધારાસભ્યએ વાઘજીપુર ચોકડી ચાર રસ્તા પર સર્કલ બનાવવામાં આવે તેવી માંગ કરતો પત્ર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લખી રજુઆત કરી છે, જેમાં તેમણે અગાઉ પણ માર્ગ અને મકાન વિભાગ મંત્રીને સર્કલ બનાવવા માટે ત્રણ થી ચાર વખત લેખિત રજૂઆત કરી છે,પરંતુ અત્યાર સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી કરાઈ ન હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે,જેથી વહેલી તકે સર્કલ બનાવવાની મંજૂરી આપવા આવે તેવી રજુઆત તેઓ દ્વારા મુખ્યમંત્રીને કરવામાં આવી છે.