વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી જીપીસીબીની પ્રાદેશિક કચેરી દ્વારા વૃક્ષારોપણ, ઓનલાઈન ક્વિઝ,નિબંધ સ્પર્ધા સહિતના વિવિધ કાર્યક્રમો હાથ ધરાશે

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

5 જૂન થી 5 જુલાઈ, 2021 દરમિયાન એક લાખથી વધુ તુલસીના છોડની રોપણી અને વિતરણ કરાશે

આવતીકાલે તા 5 જૂન, 2021ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. આ વર્ષના પર્યાવરણ દિનની થીમ ઈકોસિસ્ટમ રીસ્ટોરેશન પર છે. આ ઉજવણીના ભાગરૂપે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ગોધરા પ્રાદેશિક કચેરી દ્વારા વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. જે અંતર્ગત પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લાઓમાં જીપીસીબી (ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ) દ્વારા નગરપાલિકાઓ, વિવિધ ઉદ્યોગ ગૃહો અને અન્ય સંસ્થાઓના સહયોગથી 5 જૂન, 2021 થી 5 જુલાઈ, 2021 દરમિયાન એક લાખથી વધુ તુલસીના છોડની રોપણી અને વિતરણ કરવામાં આવશે. જે માટે સામાજિક વનીકરણ, વન વિભાગ દ્વારા તુલસીના રોપા વિના મૂલ્યે આપવામાં આવશે. જીપીસીબીની પ્રાદેશિક કચેરી ખાતે પણ તુલસીના 108 રોપા વાવવામાં આવશે. વિશ્વ પર્યાવરણ દિન નિમિતે જિલ્લાના મુખ્ય મથકની કોવીડ હોસ્પિટલ ખાતે અને અન્ય કોવીડ કેર સેન્ટર ખાતે વનવિભાગ અને જીપીસીબીના સંયુકત ઉપક્રમે કોરોના વોરીયર્સ – ડોકટર્સ અને પેરા મેડીકલ સ્ટાફના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવશે. આ ઉપરાંત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ઓનલાઇન કવીઝ અને નિબંધ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું છે. પર્યાવરણના વિવિધ વિષયો પરની નિબંધ સ્પર્ધા અંગ્રેજી અને ગુજરાતીમાં શાળા, કોલેજોના વિધાર્થીઓ અને અન્ય નાગરીકો માટે રાખવામાં આવેલ છે. જેની વિગતો જીપીસીબીની વેબસાઇટ gpcb.gujarat.gov.in પર ઉપલબ્ધ છે. આ ઉપરાંત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની વડી કચેરી, ગાંધીનગર દ્વારા તા. 05/06//2021ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે ઓનલાઇન વેબિનારનું આયોજન કરવામાં આવેલ છે. આ વેબિનારનો શુભારંભ મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્યના સંબોધનથી થનાર છે. આ વેબિનારના જોડાવાં માંગતા નાગરિકો બોર્ડની વેબસાઇટ www.gpcb.gujarat.gov.in પરથી તે અંગેની વિગતો મેળવી શકશે તેમ શ્રી એસ.એમ. વૈજનાપુરકર પ્રાદેશિક અધિકારી, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ગોધરાએ જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here