ગરૂડેશ્વર, (નર્મદા) આંશિક પઠાણ :-
પ્રવાસીઓને પુરી પડાતી સુવિધાઓ નજરે નિહાળી યોજના થી માહીતગાર થયા
વૈશ્વિક પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી વિરાટતમ પ્રતિમાના સાનિધ્યમાં અને ટેન્ટ સિટી-૨ ખાતે નિવાસ કરીને ૯૮ મા કોમન ફાઉન્ડેશન કોર્સમાં ભારતની ૧૬ અને ભૂતાનની ૩ સિવિલ સર્વિસીસના મળી કુલ ૫૮૦ તાલીમી ઓફિસર્સ એકતાનગર ખાતે રાષ્ટ્રીય પરેડ-એકતા દિવસ નિમિત્તે પધાર્યા હતા. બીજા દિવસે તેમણે ફિલ્ડ વિઝિટ કરી હતી.
‘રાષ્ટ્રીય એકતા દિવસ ૨૦૨૩’ રાષ્ટ્રીય પર્વની ભવ્ય ઉજવણીમાં સહભાગી થયેલા પ્રોબેશનરી યુવા અધિકારીઓ એક બસમાં ત્રણ ગૃપ ભેગા મળી કુલ ૧૪ બસો મારફતે આજે એકતાનગર અને ગરૂડેશ્વરની આસપાસના ગામોમાં પ્રવાસીઓને આકર્ષવા માટે તૈયાર કરવામાં આવેલા સુવિધાસભર ખાનગી હોમ-સ્ટેની મુલાકાત કરી હતી. આ કોન્સેપ્ટમાં પ્રર્યટકો માટે એક શ્રેષ્ઠ સુવિધા માટે આગવો વિકલ્પ છે, જેને સૌ તાલિમી ઓફિસર્સે નિરિક્ષણ કર્યું હતું. હોમ-સ્ટેમાં પુરી પાડવામાં આવતી સુવિધા અંગે વાકેફ થઈ અહીં તેનું સંચાલન કેવી રીતે કરવામાં આવે છે તે અંગે ચર્ચા કરી કેટલાક સૂઝાવ પણ પ્રસ્તુત કર્યા હતા. તાલીમી ઓફિસર્સ આ હોમ સ્ટેની સુવિધા નિહાળી પ્રભાવિત થયા હતા.
આ પ્રસંગે સહભાગી થયેલા અને ઉત્તરપ્રદેશના મેનપુરીના સુરજ તિવારીએ ટેન્ટ સિટી-૨ ખાતે પોતાના પ્રતિભાવોમાં જણાવ્યું હતું કે, આ મારા માટે એક યાદગાર અને અદભૂત ક્ષણ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા નર્મદા જિલ્લામાં હોમસ્ટે જેવી સુવિધાઓથી પર્યટકોને સારી સુવિધાની સાથે સ્થાનિક આદિવાસી સંસ્કૃતિને નજીકથી નિહાળવાનો મોકો મળશે. તેની સાથે સ્થાનિકોને રોજગારીની તકો ઉપલબ્ધ થશે અને શૈક્ષણિક સ્તરના સુધાર અંગે પણ જાગૃતિ આવશે.
આદિજાતિ કુટુંબોના આર્થિક ઉત્કર્ષ માટે હોમ સ્ટે બનાવવાની રાજ્ય સરકારની યોજના
ગુજરાત સરકારે આદિજાતિ કુટુંબોને રોજગારી પુરી પાડવાના શુભ આશય સાથે હોમ-સ્ટે અંગેનો તાજેતરમાં જ એક નવતર અભિગમ શરૂ કર્યો છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રવાસન સ્થળની આસપાસના આદિજાતિ કુટુંબોને રોજગારી પુરી પાડવી અને પ્રવાસીઓને રાહત દરે ઉત્તમ હોસ્પિટાલિટી-એકોમોડેશનની સુવિધા પુરી પાડવાનો છે. તેની અમલવારી સંકલિત આદિજાતિ વિકાસ પેટા યોજના(પ્રાયોજના વહીવટદારની કચેરી) દ્વારા કરવામાં આવી રહી છે. આદિજાતી કુટુંબોના આર્થિક ઉત્કર્ષ માટે હોમ સ્ટે બનાવવાની યોજના કુલ યુનિટ કોસ્ટ વ્યક્તિગત લોકફાળો અને સહાય મળી રૂપિયા પાંચ લાખની મર્યાદામાં આર્થિક સહયોગ પુરો પાડવામાં આવનાર છે.