પ્રાકૃતિક કૃષિના રાષ્ટ્રવ્યાપી જન આંદોલનનું નેતૃત્વ કરવા તૈયાર છે પોઈચા નિલકંઠ ધામ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

ધરતીપૂત્રોને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા રાજ્યપાલ નો અનુરોધ

પોઈચા ખાતે ‘પ્રાકૃતિક કૃષિ સંમેલન – મંદિર દશાબ્દી મહોત્સવ’ માં રાજ્યપાલ ની ગરિમામય ઉપસ્થિતિ

રાજ્યપાલ ના વરદ્હસ્તે પોઈચા ત્રણ રસ્તા ખાતે નિલકંઠ પ્રવેશદ્વારનું ઉદ્ઘાટન અને નર્મદા નદીના કિનારે નિલકંઠ ઘાટનું ખાતમૂહુર્ત કરાયું

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં ગતરોજ નિલકંઠધામ, પોઇચા ખાતે સ્વામિનારાયણ મંદિર પરિસરમાં ‘પ્રાકૃતિક કૃષિ સંમેલન – મંદિર દશાબ્દી મહોત્સવ’ યોજાયો હતો. રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ નિલકંઠધામ પધારીને પોઈચા ત્રણ રસ્તા ખાતે કલાત્મક નિલકંઠ પ્રવેશદ્રારનું ઉદઘાટન કર્યુ હતું. ઉપરાંત, નર્મદા નદીના કિનારે નિલકંઠઘાટનું ખાતમુહૂર્ત વૈદિક મંત્રોચ્ચાર દ્વારા સાધુસંતોની પ્રેરક ઉપસ્થિતિમાં કર્યું હતું.

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, રાજકોટ સંસ્થાન સંચાલિત મંદિર દશાબ્દી કલ્યાણ મહોત્સવ દિપ પ્રાગટ્ય કરીને ખૂલ્લો મુકાયો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને અપનાવી ખેડૂતોને ઉપયોગી પ્રેરક માર્ગદર્શન પુરું પાડયું હતું અને કહ્યું હતું કે, પર્યાવરણમાં આવેલા અસાધારણ બદલાવ માટે અને માનવીના સ્વાસ્થ્યની બરબાદી માટે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો વધુ પડતો ઉપયોગ જવાબદાર છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ પ્રાકૃતિક ખેતી દ્વારા ભારતને આત્મનિર્ભર બનાવવાના કરેલા આહ્વાન અને સંકલ્પને સાકાર કરવાની દિશામાં ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનું અભિયાન પુરજોશમાં આગળ વધી રહ્યું છે ત્યારે તેમણે દેશના ખેડૂતોની આવક બમણી કરવા માટે પ્રાકૃતિક ખેતીને એક ઉત્તમ માર્ગ ગણાવ્યો હતો.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિને જનઆંદોલન બનાવવા માટેની હાકલ નર્મદા જિલ્લાના પોઈચા ગામ ખાતેના નિલકંઠધામ-સ્વામિનારાયણ મંદિરથી કરવાની નેમ વ્યક્ત કરી હતી. ધર્મ સાથે લોકોના આત્માની શુદ્ધિનું કેન્દ્ર નિલકંઠધામ પ્રાકૃતિક ખેતીનું અનોખું કેન્દ્ર બને તેવો ઉલ્લેખ કરી કહ્યું હતું કે, પૂજ્ય કૈવલ્ય સ્વામીજી દ્વારા હજારો ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવામાં આવી રહી છે. આ તાલીમનો લાભ લઈ પ્રાકૃતિક ખેતીને વ્યાપક પ્રમાણમાં અપનાવીને પ્રકૃતિ-પર્યાવરણ અને જમીનના સંરક્ષણમાં યોગદાન આપવા રાજ્યપાલ એ અનુરોધ કર્યો હતો.

રાજ્યપાલે જણાવ્યું કે, પુરી પ્રાકૃતિક વિધિ અને પ્રમાણિકતાથી પ્રાકૃતિક કૃષિ કરવામાં આવે તો આ કૃષિ પધ્ધતિ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. પ્રાકૃતિક કૃષિથી જમીન ફળદ્રુપ બને છે. જેનાથી જળ, જમીન અને પર્યાવરણની પણ રક્ષા થાય છે. પ્રાકૃતિક કૃષિથી દેશી ગાયનું જતન-સંવર્ઘન થાય છે. આ પધ્ધતિમાં કૃષિમાં નહીવત ખર્ચ આવે છે. આમાં ઉત્પાદન પુરતું મળતું હોવાથી ખેડૂતો માટે આ પધ્ધતિ અત્યંત લાભદાયી છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ નિલકંઠ પ્રવેશદ્વાર ખાતે તકતીનું અનાવરણ કર્યું હતું અને પ્રવેશદ્વારનું ઉદ્ઘાટન કર્યુ હતુ. જ્યારે નર્મદા નદીના કિનારે વૈદિક મંત્રોચ્ચાર સાથે સાધુસંતો, હરિભક્તોની ઉપસ્થિતિમાં નિલકંઠ ઘાટનું ખાતમૂહુર્ત કર્યું હતું.

આ પ્રસંગે પૂજ્ય સ્વામી ધર્મવલ્લભદાસજીએ પ્રાસંગિક ઉદબોધન દરમિયાન રાજ્યપાલ દ્વારા પ્રાકૃતિક કૃષિ માટે કરવામાં આવી રહેલા પ્રોત્સાહક પ્રયત્નોને બિરદાવીને નિલકંઠધામ દ્વારા પ્રાકૃતિક કૃષિને વેગવાન બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

નિલકંઠ ધામ પોઈચા ખાતેના કાર્યક્રમમાં સહભાગી થવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી રાજપીપલા હેલિપેડ ખાતે આવી પહોંચતાં તેમને નર્મદા જિલ્લા પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઑનર આપવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, પ્રાંત અધિકારી કેતુલ ઈટાલિયા અને નિલકંઠધામના આયોજક રાકેશભાઈ દુધાત દ્વારા માન. રાજ્યપાલ નુ ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here