ગોધરા,
પ્રતિનિધિ :- કલમ કી સરકાર : સાજીદ શેખ
ઈ-પાસ ઈશ્યુ કરવા અંગે જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા જાહેર હુકમ
જે-તે તાલુકા પૂરતા પાસ ઈશ્યુ કરવાની સત્તા મામલતદારશ્રીઓને સોંપાઈ
નોવેલ કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતુ અટકાવવા હેતુસર કેન્દ્ર સરકાર દ્વારા તા.૦૩/૦૫/૨૦૨૦ સુધી લોકડાઉન જાહેર કરેલ છે. લોક ડાઉન દરમિયાન આવશ્યક સેવાઓ માટે સબ ડિવીઝનલ મેજિસ્ટ્રેટ અને ઈન્સીડન્ટ કમાન્ડરશ્રીઓ દ્વારા મૂવમેન્ટ પાસ જારી કરવામાં આવ્યા હતા. નોવેલ કોરોના વાયરસના ઝડપથી વધતા સંક્રમણને ધ્યાનમાં લઈને સંબંધિત અરજદારોએ કચેરી ખાતે રૂબરૂ ન આવવું પડે તે માટે સરકારે https://www.digitalgujarat.gov.in પર ઈ-પાસ માટેની ઓનલાઈન સુવિધા ઉભી કરી છે. પંચમહાલ જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા દ્વારા કરાયેલ હુકમ અનુસાર જિલ્લાના 7 મામલતદારોને આ ઈ-પાસ જારી કરવાની કામગીરી સોંપવામાં આવી છે. જો કે આ મામલતદારોએ તેમને સુપ્રત કરાયેલ તાલુકાના કાર્યક્ષેત્રના પંચમહાલ જિલ્લાની હદ પૂરતા વિસ્તારમાં જ આવશ્યક સેવાઓના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ કે પૂરી પાડવા માટે જ પાસ ઈશ્યુ કરવાના રહેશે. પંચમહાલ જિલ્લા હદ વિસ્તાર બહારના અને ખાસ કિસ્સામાં ઈશ્યુ કરવાના પાસ માટે સંબંધિત સબ ડિવીઝનલ મેજિસ્ટ્રેટશ્રીની મંજૂરી મેળવી કાર્યવાહી કરવાની રહેશે. ગોધરા (શહેર) અને (ગ્રામ્ય) તાલુકાના ઈ-પાસ ગોધરા મામલતદારશ્રી બી.વી.પરમાર, કાલોલ તાલુકાના પાસ કાલોલ મામલતદાર શ્રી પી.એમ.જાદવ, હાલોલ તાલુકાના પાસ હાલોલ મામલતદારશ્રી એસ.એન.કટારા, ઘોઘંબા તાલુકાના પાસ ઘોઘંબા મામલતદારશ્રી જી.જી. તડવી, જાંબુઘોડા તાલુકાના પાસ જાંબુઘોડા મામલતદારશ્રી ડી.એન.સોલંકી, શહેરા તાલુકાના પાસ શહેરા મામલતદારશ્રી મેહુલભાઈ ભરવાડ તેમજ મોરવા (હ) તાલુકાના પાસ મોરવા(હ)ના ઈન્ચાર્જ મામલતદારશ્રી એમ.જે. બારીયાએ ઈશ્યુ કરવાના રહેશે તેમ હુકમમાં જણાવાયું છે. પાસધારક ઈશ્યુ કરેલ પાસમાં નિર્દિષ્ટ કરેલ સમય, તારીખ, નિર્દિષ્ટ કરેલ વાહન તેમજ દર્શાવેલ જરૂરી વિસ્તાર સિવાય બિનજરૂરી હેરફેર/મુસાફરી કરે નહીં તે સુનિશ્ચિત કરવાનું રહેશે. જો તેનો ભંગ થતો જણાય તો પાસ તાત્કાલિક અસરથી રદ કરી, તેઓ સામે ભારતીય દંડ સંહિતાની કલમ-188 તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, 2005ની જોગવાઈ હેઠળ ફરિયાદ દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની રહેશે.