ગોધરા,(પંચમહાલ)
ઈશ્હાક રાંટા
રેન્જ આઈજીશ્રી, જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લાના પોલીસ વડાશ્રી સહિતના વરિષ્ઠ અધિકારીઓએ રસી લઈ રસીકરણનો પ્રારંભ કરાવ્યો
સમગ્ર દેશમાં પ્રથમ તબક્કામાં કોવિડ રસીકરણનો રાષ્ટ્ર વ્યાપી શુભારંભ થયા બાદ આજે બીજા તબક્કામાં કલેક્ટરશ્રી, રેન્જ આઈજીશ્રી તથા પોલિસ અધિક્ષકશ્રી સહિતના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા કોરોના રસીનો પ્રથમ ડોઝ લઈને રસીકરણ અભિયાનમાં સહભાગી બન્યા હતા. કોરોનાની વૈશ્વિક મહામારીમાં છેલ્લા દશ મહિનાથી રાત-દિવસ લોકોની સેવામાં ખડેપગે રહેનાર ફ્રન્ટલાઇન કોરોના વોરીયર્સ એવા ર્ડાકટર, સ્ટાફ નર્સ અને સફાઇકર્મીઓ બાદ આજે મહેસૂલ અને પોલીસ જવાનોને તંત્રની ગાઇડલાઇન પ્રમાણે કોરોનાની રસી આપવાની શરૂઆત કરવામાં આવી હતી. બીજા તબક્કામાં પંચમહાલ જિલ્લામાં ૩૨૦૦ જેટલા પોલીસ, મહેસૂલ અને નગરપાલિકાના ફ્રન્ટલાઈન વોરિયર્સને કોરોના વેક્સિનેશન અંતર્ગત આવરી લેવાશે. આ માટે જિલ્લામાં અલગ-અલગ ૩૨ જેટલા વેક્સિનેશન કેન્દ્ર પર આ કામગીરી કરવામાં આવી રહી છે. પંચમહાલ જિલ્લાના મુખ્યમથક ગોધરા શહેરમાં આવેલ સરકારી નર્સિંગ કોલેજ ખાતેથી કોરોના વેક્સિનેશનના બીજા તબક્કાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. ગોધરા રેન્જ આઇજી એમ એસ ભરાડા દ્વારા વેક્સિનેશનના ભાગરૂપે આજે વેક્સિન લેવામાં આવી હતી, તેઓએ વેક્સિન લીધા બાદ આ વેક્સિન સુરક્ષિત હોવાનુ જણાવતા સૌ પ્રજાજનોને ડર્યા વગર વેક્સિનેશન પ્રક્રિયામાં ભાગ લેવા માટે અપીલ કરી હતી. નનકોરોના વોરીયર્સ એવા ર્ડાકટર, નર્સ, મેડીકલ અને પેરા મેડીકલ સ્ટાફ બાદ આજે બીજા તબક્કામાં મહેસૂલના કર્મચારીઓ અને રાત-દિવસ પ્રજાની સેવામાં ખડેપગે ફરજ બજાવતાં પોલીસ જવાનોને કોવિડ-૧૯ ની વેક્શિન આપવામાં આવી રહી છે ત્યારે મેં પણ કોરોનાની રસી લીધી છે તેમ તેમણે જણાવ્યું હતું. કોરોના પ્રતિરોધક વેક્સિન લીધા બાદ જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે છેલ્લા નવ દિવસથી ચાલી રહેલા વેક્સિનેશન પ્રોગ્રામ અંતર્ગત જિલ્લામાં ૩૦૦૦થી વધુ સરકારી અને ખાનગી ક્ષેત્રના હેલ્થ કેર પ્રોવાઈડર્સને રસી આપવામાં આવી છે, જેમાં કોઈ આડઅસર જણાઈ નથી. તેમણે તમામ નાગરિકોને કોઈ અફવા પર ઘ્યાન આપ્યા વગર સરકારશ્રી દ્વારા જાહેર થાય તે પ્રમાણે નિર્ભય રહીને કોઈ શંકા વગર કોરોનાની રસી મુકાવવા અને પોતાને સંક્રમણ સામે સુરક્ષિત કરવા અપીલ કરી હતી. કોવિડ વેક્સિનેશનના બીજા તબક્કામાં પોલીસ વિભાગ, મહેસુલ વિભાગ, પંચાયત વિભાગ અને નગરપાલિકામાં ફરજ બજાવતાં ફ્રન્ટ લાઈન વોરિયર્સને રસીનો પ્રથમ ડોઝ આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે. આઆવતીકાલે ૨૧ સેશન્સ સાઇટ પરથી ૨૧૦૦ જેટલા આ પ્રકારના કર્મચારીઓને રસીકરણ અંતર્ગત આવરી લેવાશે. ગોધરા નર્સિંગ કોલેજ ખાતે યોજાયેલ આ રસીકરણ કાર્યક્રમમાં પ્રાંત અધિકારીશ્રી વિશાલ સક્સેના સહિતના વરિષ્ઠ અધિકારીઓએ પણ રસી મૂકાવી હતી.